ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (14:51 IST)

વડોદરામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 17 વર્ષના વિદ્યાર્થીએ મિત્રના ફ્લેટના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કર્યો

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી મયુર શીર્ષદે મિત્રના એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઇ હતી. મોડી રાત્રે બનેલા આ બનાવમાં મિત્રના ઘરે આવી આપઘાત કરનાર સ્ટુડન્ટે કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય છે. આ બનાવ અંગે ગોત્રી પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી 798, ગોકુળનગરમાં મયુર ક્રિષ્ણા શીર્ષદ રહે છે. બુધવારે મોડી સાંજે તે ગોત્રી રોડ ઉપર આવેલા શિવાલય હાઇટ્સમાં રહેતા મિત્રને મળવા માટે આવ્યો હતો અને તે મિત્રને મળે તે પહેલાં શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સાંજે 7 વાગ્યાના સુમારે પાર્કિંગમાં પડવાનો અવાજ આવતા જ બિલ્ડિંગમાં રહેતા મયુરના મિત્ર પરિવાર સહિત બિલ્ડિંગના રહીશો દોડી આવ્યા હતા.શિવાલય હાઇટ્ર્સના પાંચમાં માળેથી મયુર શીર્ષદે પડતું મૂકતાની સાથે જ તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું.

વિસ્તારમાં ચકચાર મચાવી મુકનાર આ બનાવની જાણ મયુરના પરિવારજનોને કરવામાં આવતા તુરંત જ તેઓ દોડી આવ્યા હતા. જ્યાં માતા તેમજ ભાઇ-બહેનના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. તે સાથે આ બનાવની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ રતિલાલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. વિદ્યાર્થી ભણવામાં ખૂબ હોશિયાર હતો અને તેનો ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો અને બપોર બાદ તે ટ્યુસન ક્લાસમાં પણ જતો હતો. છેલ્લે 6 વાગ્યા સુધી તેને મિત્રો સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી હતી.હેડ કોન્સ્ટેબલ રતિલાલના જણાવ્યા પ્રમાણે ગોત્રી રોડ શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમાં ફ્લોર ઉપરથી પડતું મૂકનાર મયરુ શિર્ષદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા દુબઇમાં છે. આ બનાવની જાણ પરિવારને કરવામાં આવતા માતા અને ભાઇ-બહેન ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ આ બનાવ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.