1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (09:43 IST)

ઇન્દોરથી આવેલા પતિએ રિસામણે બેસેલી પરણિતા પર કર્યું ફાયરિંગ, એક વર્ષ પહેલાં થયા હતા લગ્ન

જામનગરના દરેડ વિસ્તારમાં રિસામણે બેસેલી પરિણીતા પર તેના પતિએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના લીધે ઘાયલ થતાં પરિણીતાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે હુમલાખોર પતિની શોધખોળ શરૂ કરી છે.
 
જામનગરના દરેડ વિસ્તારમાં આવેલા મુરલીધર પાર્કમાં રહેતા પરિવારની પુત્રી આરાધનાના ઈન્દોરમાં રહેતા મિથુન નામના યુવક સાથે એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્નજીવનની શરૂઆતમાં જ પતિ-પત્ની વચ્ચે વિવાદ થતાં આરાધના જામનગરમાં તેનાં માતાપિતા સાથે રહેવા આવી ગઈ હતી.
 
પતિ-પત્ની વચ્ચે છેલ્લા આઠ મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે આજે આરાધના તેના ઘર પર હતી ત્યારે જ ઈન્દોરથી તેનો પતિ મિથુન આવી પહોંચ્યો હતો અને રિવોલ્વર જેવા હથિયારમાંથી આરાધના પર બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો.
 
આરાધનાને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સ મારફત જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ પોલીસે હુમલો કરી નાસી છૂટેલા પતિની શોધખોળ શરૂ કરી છે.