1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 નવેમ્બર 2022 (09:11 IST)

ટોલ ફ્રી નંબર જાહેર: મત માટે લાંચ કે ધાક-ધમકીની ફરિયાદ ટોલ ફ્રી નંબર પર કરી શકાશે

નિર્ભય અને નિષ્પક્ષ મતાધિકાર માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. ધવલ પટેલના માર્ગદર્શનમાં  ટોલ ફ્રી નંબર જારી કરવામાં આવ્યો છે. નાગરિકો મત માટે અપાતી લાંચ કે ધાક-ધમકી અંગેની ફરિયાદ ટોલ ફ્રી નંબર - ૧૮૦૦-૨૩૩-૨૩૬૭ પર કરી શકશે. આ ટોલ ફ્રી નંબર ૨૪/૭ કાર્યરત રહેશે.
 
જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચ નિયંત્રણ સેલના નોડલ અધિકારી, અમદાવાદ અનિલ ધામેલિયાની એક અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈપણ લાંચ લેતી કે આપતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ - ૧૭૧ (ખ) મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે.
 
વધુમાં કોઈ પણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ - ૧૭૧ (ગ) મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાની પાત્ર છે.
 
લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે શીઘ્ર કાર્ય ટુકડી (ફ્લાઇંગ સ્કવોડ) ઊભી કરવામાં આવેલ છે. આથી તમામ નાગરિકોને કોઈ પણ પ્રકારની લાંચ નહીં લેવા અને અન્ય કોઈ પણ વ્યક્તિ લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઈ પણ જાણકારી મળે અથવા મતદારોને ધાક-ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો, તે અંગે ફરિયાદ મેળવવા માટે ઊભા કરવામાં આવેલા જિલ્લાના ૨૪*૭ ફરિયાદ દેખરેખ નિયંત્રણ માટે ટોલ ફ્રી નંબર - ૧૮૦૦-૨૩૩-૨૩૬૭ પર જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.