ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Modified: શનિવાર, 11 એપ્રિલ 2015 (17:25 IST)

ચાલો જઇએ દ્વારકા નગરીની શબ્દ સફરે

સ્વર્ગ દ્વાર, મોક્ષ દ્વાર, દેવકી ચોક, વસુદેવજીની શેરી, ગોપાલજીની શેરી, ફૂલેકા શેરી, ભીડભંજન શેરી, વ્યાસ શેરી, હર્ષદા શેરી, બ્રહ્મકુંડ, કકરાટ કુંડ, સ્નાન કુંડ, ઉગમણો ચોક, ખારવા ચોક, ત્રણબત્તી ચોક, હોળી ચોક, ડેલો, ખડકી અને ટાંકું. જી, હા, સૌરાષ્ટ્ર સ્થિત દ્વારકા શહેરમાં રોજબરોજની વાતચીતમાં વપરાતા નામ છે. દ્વારકા શહેરને ‘કૃષ્ણની નગરી’ કહેવામાં આવે છે. અરે, ત્યાંની શેરીએ શેરીમાં કૃષ્ણનો સાક્ષાત્કાર જો ભાવ સાથે આપ જુઓ તો અવશ્ય અનુભવો. જેમ કે ત્યાં ફરતી ગાય હોય કે, મંદિરના શિખર ઉપર ફરકતી ધજા હોય, ગોમતી ઘાટ ઉપર ટહેલતી વખતે, ભડકેશ્ર્વર પાસે અગાધ તોફાની દરિયાને નિહાળતી વખતે, નિજમંદિરમાં કૃષ્ણની પટરાણીના દર્શન કરો ત્યારે, કૃષ્ણના ભાઈ બલરામ કે ત્રિકમજીના દર્શન કરી દેવકી ચોકમાં બે ઘડી નામ સ્મરણ કરવા બેસો ત્યારે પણ કૃષ્ણ કણેકણમાં વસતા હોય તેવો આભાસ થતો હોય છે. પીતાંબર અને બંડી પહેરીને ફરતા ગ્રામ્યજનો અને તેમની બોલીમાં જોવા મળે છે. આજે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ વીસરાઈ જવાની એક ભીતિ આપણે અનુભવી રહ્યા છીએ. તે સમયે દ્વારકા શહેરને ‘હેરિટેજ સિટી’ જાહેર કરવામાં આવતા સૌરાષ્ટ્રના લોકો આનંદિત થઈને ગર્વ અનુભવે છે. ગામની નાની શેરી ચોક કે કુંડના નામ જળવાયેલા રહેશે. ભવિષ્યમાં આ નામ પાછળ છુપાયેલ કૃષ્ણની યાદો અખંડ રહેશે. તે ગર્વ લેવા જેવી વાત તો કહેવાય જ ને!

૨૧મી જાન્યુઆરી, ૨૦૧૫ના યુનિયન મિનિસ્ટર ઓફ અર્બન ડેવલપમેન્ટ શ્રી એમ. વૈંક્યાનાયડુએ ભારતનાં ૧૨ શહેરને ‘હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઑગ્મેન્ટેશન યોજના’ (હૃદય) હેઠળ હેરિટેજ શહેર જાહેર કર્યાં છે. વિકાસ માટે કુલ રકમ ૫૦૦ કરોડ ફાળવવામાં આવી છે. વારાણસી, મથુરા, ગયા, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાં આવેલ દ્વારકા શહેરને પણ સામેલ કરવામાં આવ્યું છે. શહેરના વિકાસ માટે કુલ ૨૨ કરોડની ફાળવણીનો પત્ર જામનગરનાં સંસદસભ્ય શ્રી પૂનમબહેનને સોંપવામાં આવ્યો હતો. આપણે આ હેરિટેજ સિટી તરીકે જાહેર થયેલ દ્વારકા શહેરની ખાસ વાતો જાણીએ.

સ્કંદ પુરાણ અને મહાભારતમાં પણ યાત્રાધામ દ્વારકા ઐતિહાસિક નગરીની ગણના પામેલ છે. કૃષ્ણના શહેરની મુલાકાતમાં જગત મંદિરની મુલાકાત લેવાનો આગ્રહ ભક્તો દ્વારા રાખવામાં આવે છે. વર્ષમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે

પધારે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે મનુષ્ય જીવનમાં સારા કામ કરીને સ્વર્ગ લોકમાં સ્થાન મેળવી મોક્ષ પ્રાપ્ત કરવો. દ્વારકાધીશના મંદિરના પ્રવેશદ્વારને ‘સ્વર્ગ દ્વાર’ કહેવામાં આવે છે. છપ્પન પગથિયાં ઊતરો એટલે ગોમતી નદી તરફ આપ પહોંચો. તે દ્વારને ‘મોક્ષદ્વાર’ કહેવામાં આવે છે.

૨૫૦૦ વર્ષ પહેલાં બંધાયેલ આ મંદિરમાં પાંચ માળ જોવા મળે છે. અદ્ભુત કોતરણી ધરાવતા ૬૦ સ્તંભ જોવા મળે છે. મંદિર કુલ ત્રણ ભાગમાં વહેચાયેલું છે. જેમાં ભક્તિ માટેનું સ્થળ, પ્રકાશઘર (નિજમંદિર), સભાગૃહ. સૌથી ઉપર શિખર જોવા મળે છે. મંદિરના સભામંડપના ઉપરના ભાગમાં સુંદર નકશી કામ જોવા મળે છે. ઝરુખામાં અપ્સરા અને હાથીનું કોતરણી કામ થયેલ છે. શંકુ આકાર ઘરાવતું ૧૭૨ ફૂટ ઉંચુ શિખર છે. મંદિરની શોભા જોવી હોય તો ઉપરના માળે આવેલ ઝરુખામાંથી મંદિરની આસપાસ આવેલાં બીજાં નાનાં મંદિરોને પણ નિહાળી શકાય છે. ગર્ભગૃહમાં આવેલી ૧ મીટર ઊંચી દ્વારિકાધીશની મૂર્તિની સમક્ષ આપ ઊભા રહો તો એક અદૃશ્ય શક્તિને અનુભવી શકો છો. ગોમતી ઘાટ ઉપર ઉભા રહીને ગોમતી નદીને સમુદ્રમાં એકરૂપ થતી પણ જોઈ શકાય છે. દ્વારકાના મંદિરમાં રોજની છથી સાત બાવનગજની ધજા ચડાવવામાં આવે છે. મહાભારતના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ ભગવાન ૩૬ વર્ષ દ્વારકામાં રહ્યા હતા. એકલવ્ય અને દ્રોણાચાર્યની ભૂમિ પણ કહેવાય છે. એવી પણ માન્યતા છે કે કૃષ્ણના અવસાન બાદ સોનાની દ્વારકા પાણીમાં ડૂબી ગઈ હતી. સોનાની દ્વારકા શોધવાના પ્રયત્નો હજી આજે પણ ચાલી રહ્યા છે.

શારદાપીઠ: જગદ્ગુરુ શંકરાચાર્ય દ્વારા ૨૫૦ વર્ષ પહેલાં ચાર મઠની સ્થાપના કરવામાં આવી હતી. દ્વારકામાં સ્થાપેલ શારદાપીઠનો સમાવેશ થાય છે. બીજા પીઠ શૃંગેરી, પુરી, જ્યોતિર્મઠમાં સ્થાપવામાં આવેલ છે.

બેટ દ્વારકા: દ્વારકાથી ૩૨ કિ.મીના અંતરે આવેલા બેટ-દ્વારકા દરિયાની અંદર આવેલું છે. બોટમાં બેસીને કે સ્ટીમ લૉંચમાં બેસીને આપ બેટ-દ્વારકા જઈ શકો છો. અહીંયા આવેલી દ્વારકાધીશની મૂર્તિ દેવી રક્મિણીએ ખાસ માટીમાંથી બનાવેલી છે.

દ્વારિકાધીશની સમક્ષ ઊભા રહો તો તેમનું નિર્મળ સ્વરૂપ મનને શાંતિ અર્પે છે.

એવી માન્યતા છે કે આ મૂળ દ્વારકામાં ભગવાન કૃષ્ણ તેમના કુટુંબ સાથે રહેતા હતા.

નાગેશ્ર્વર મહાદેવ: દ્વારકાથી ૧૨ કિ.મી.ના અંતરે આવેલા નાગેશ્ર્વર મહાદેવની ગણના ભારતના ૧૨ જ્યોતિર્લિંગમાં થાય છે.

રુક્મિણી મંદિર: ૧૬૦૦ વર્ષ પ્રાચીન આ મંદિર કૃષ્ણની પત્ની રુક્મિણીનું છે.

ગોપી તળાવ: શ્રીકૃષ્ણને મળવા વ્યાકુળ ગોપીઓ વૃંદાવન મથુરાથી દ્વારકા પધારે છે. કૃષ્ણને મળવા જવું હોય તો સ્નાન કરી સાજશણગાર સજીને જવું જોઈએ. તેમ વિચારી ગોપી ગામની બહાર આવેલા તળાવમાં સ્નાન કરવા પાણીમાં ઊતરે છે. તેમનાં કપડાં ગામની એક જાતીના લોકો સંતાડી દે છે. જેને પાછા મેળવી ગોપી કૃષ્ણને મળવા જાય છે.

હોળી ચોક: માતાજીના નોરતા વખતે ગામના પુરુષો પીતાંબર પહેરીને નવ દિવસ ગરબીમાં ઘૂમે છે. આ પ્રથા ૨૫૦ વર્ષથી ચાલી આવે છે. મંદિરમાં ગાઈડ તરીકે સેવા કરતા મુકુંદ વાયડા જણાવે છે.

દ્વારકા ગામના પુરુષોનો મુખ્ય પોષાક પણ કૃષ્ણ પહેરતાં તેવી બંડી અને પીતાંબર છે. શુદ્ધ ગાયનું દૂધ અને ઘી કેવું સ્વાદિષ્ટ હોય તે દ્વારિકાનગરીમાં આપને જોવા અને ચાખવા મળશે. ગામના લોકો દ્વારા દર્શનાર્થે આવતા ભક્તોની આગતા-સ્વાગતા કાઠિયાવાડી રીતભાત મુજબ કરવામાં આવે છે. કાઠિયાવાડની સાચી ઓળખ એટલે સવારના સમયે કડક મીઠી ચાની સાથે શિરામણમાં ગરમા-ગરમ ગાંઠિયા, તળેલા મરચાં અને પપૈયાનું સ્વાદિષ્ટ છીણ સ્વાદને સંતોષી શકવા સક્ષમ છે. મંદિરમાં દ્વારિકાધીશને ધરાવેલ પ્રસાદને ગ્રહણ કરવાનો મોકો મળે ત્યારે એમ જ થાય કે સાક્ષાત કૃષ્ણ આપને ભોજન પીરસી રહ્યા છે. સાંજના સમયે હજમાહજમના સ્વાદવાળી ગોટી સોડા પીવાની મજા માણવી જ જોઈએ. ફૂલેકા શેરીમાંથી બહાર નીકળો એટલે મોઢામાં મૂકો અને ઓગળી જાય તેવું મીઠું પાન દિલને ખુશ કરી દે છે.

ડૂની પોઈન્ટ: શાંત દરિયામાં તરવાની, સનબાથ લઈને આરામ કરવાની મજા લઈ શકાય છે. ડૂની પોઈન્ટ ગુજરાતની પ્રથમ ‘ઈકો-ટુરિઝમ’ સાઈટ ગણાય છે. પાણીમાં તરતી ડોલ્ફીન માછલીઓ, દરિયાઈ કાચબાની સાથે, સ્કુબા ડાઈવિંગની મોજ માણવા મળે છે. રાત્રિના સમયે ખુલ્લા આકાશની નીચે બેસીને ચંદ્રમાંની રોશની અને તારાઓને નિહાળો તો રોજબરોજના જીવનમાં અનુભવાતી માનસિક તાણ તમારાથી ક્યાંય દૂર ભાગી જાય છે. વૉટર પૉલો, બર્ડ વોચિંગની સાથે મેડિટેશન કરો કે ક્રુઝમાં બેસીને દરિયાની સફર કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરી શકાય છે. શણ અને બીજી કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલી ઝૂંપડીમાં રહેવાની પણ સગવડ મળી રહે છે.

દ્વારકા ભારતનાં બીજાં શહેરોથી સરળ રીતે જોડાયેલું છે. જામનગર એરપોર્ટથી ૧૫૯ કિ.મી ના અંતરે આવેલું છે. બસ અને ટ્રેન દ્વારા સરળતાથી દ્વારકા નગરીમાં પહોંચી શકાય છે. અમદાવાદથી ૪૫૩ કિ.મી નું અંતર છે. ૨૧૭ કિ.મી નું અંતર રાજકોટથી ૧૩૭ કિ.મીનું અંતર બસ, ટ્રેન અને ખાનગી વાહન સરળતાથી કરી શકાય છે.

ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એ પણ સત્ય છે કે કોઈ પણ દેશ પોતાની સંસ્કૃતિ અને વારસાને અવગણીને વિકાસ સાધી શકે નહીં. કૃષ્ણ નગરીને ‘હેરિટેજ સિટી’ જાહેર કરવાથી આવનારી પેઢી પણ વાસુદેવજીની શેરી અને દેવકી ચોક જેવા નામો જાણીને કૃષ્ણના અવશેષ જોશે તે નક્કી છે.