1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 નવેમ્બર 2020 (18:09 IST)

અદાણીને એરપોર્ટ સોંપતા પહેલાં નોટીસ, 10 વર્ષથી બાકી 22 કરોડ ચૂકવો

અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અદાણી સમૂહને આગામી 50 વર્ષ માટે સોંપી દેવામાં આવશે. અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશને, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સંચાલિત અમદાવાદ એરપોર્ટને બાકી વેરા પેટે રુ. 22 કરોડ ચૂકવી દેવા નોટીસ ફટકારી છે. છેલ્લા 10 વર્ષથી અમદાવાદ એરપોર્ટે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મિલ્કતવેરા પેટે રૂપિયા 22 કરોડ ચૂકવ્યા નથી. 
 
જો કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપને સોપી રહ્યું હોવાથી, બાકી નાણાં વસૂવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટીસ ફટકારી છે. નોટીસમાં જણાવ્યુ છે કે, જો તેઓ બાકી વેરાપેટા 22 કરોડ ના ચુકવવાનો હોવ તો અન્ડરટેકીગ આપવુ કે બાકી વેરો કોણ ચુકવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કે એરપોર્ટનું સંચાલન સંભાળનાર અદાણી જૂથ.  નાણાં સમયસર ભરવામાં નહિ આવે તો એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સહિતની ઓફિસો સીલ કરવાની અને આગળ જતાં જપ્ત કરવાની ચેતવણી આપવામાં આવી છે.
 
ઉલ્લેખનીય છે કે, 2011થી સર્વિસ ચાર્જ - પ્રોપર્ટી ટેક્સની રકમ ચઢી ગઇ છે. જે રૂ. 22.56 કરોડને આંબી ગઇ છે. વચ્ચે એરપોર્ટ ઓથોરિટીએ આ પૈકી રૂ.2.75 કરોડની રકમ ભરી દીધી હોવાથી હાલ રૂપિયા 19.81 કરોડ લેવાના નીકળે છે. 
 
ગુરૂવારે નોટીસ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી દ્રારા મ્યુનિ. ને ટેકસ ભરી દેવાની ખાતરી આપી હતી. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્રારા આગામી સાત દિવસમાં ટેક્સ ભરપાઈ કરી દેવા માટે એરપોર્ટ સંકુલને જણાવવામાં આવ્યું છે. આજથી એટલે કે ૬ નવેમ્બેરથી અમદાવાદ એરપોર્ટ ખાનગી કંપની અદાણીના નામે થવા જઈ રહ્યું હોવાથી મ્યુની. દ્રારા એરપોર્ટ સંકુલને નોટીસ ફટકારવામાં આવી હતી.