1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 30 ઑક્ટોબર 2022 (09:48 IST)

સ્પર્ધાત્મક પરીક્ષાની વિનામૂલ્યે તૈયારી માટે ‘સાફલ્ય’ ચેનલ શરૂ કરાશે, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી મહત્વની જાહેરાતો

૧. SCOPE પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય 
શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વની જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે,  જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાએ G3Q ક્વિઝ વિજેતાઓને પ્રોત્સાહન રૂપે સ્કોપ, અમદાવાદ દ્વારા લેવાતી Cambridge English Placement Test (CEPT) પરીક્ષા જેની ફી રૂ.૪૫૦/- છે, જે પરીક્ષા વિનામૂલ્યે આપી શકે તે અંગેનો મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ માટે રૂ. ૨૮ લાખની રકમ વિદ્યાર્થીઓના હિત અર્થે સ્કોપને ફાળવવા માટે સૈધાંતિક મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. 
 
૨. સ્પર્ધાત્મક પરીક્ષાની વિનામૂલ્યે તૈયારી માટે ‘સાફલ્ય’ ચેનલ શરૂ કરવાનો નિર્ણય 
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ધોરણ ૧૨ તેમજ સ્નાતક બાદ UPSC-GPSC, POLICE, TET/TAT/HTAT, GSSSB, JEE, NEET, CAT, SLET, TOEFL જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવા માટે BISAGના માધ્યમથી ફ્રી ટુ એર ‘સાફલ્ય’ ચેનલ આગામી તા. ૮મી નવેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે, જેનું આજે મુખ્યમંત્રીશ્રી દ્વારા લૉન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ચેનલ પર સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે ૮ થી ૧૧ કલાકે અને તે જ કાર્યક્રમનું બપોરે ૪ થી ૯ દરમિયાન પુનઃપ્રસારણ કરવામાં આવશે. જેમાં IAS, IPS, સ્પીપા તેમજ સરકારમાં ૧૫ વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ યુનિવર્સિટીઓના પ્રોફેસરો-તજજ્ઞો દ્વારા વિવિધ સ્પર્ધાત્મક વિષયોનું શિક્ષણ આપવામાં આવશે. જેના પરિણામે રાજ્યભરના હજારો વિદ્યાર્થીઓને ઘરેબેઠા વિનામૂલ્યો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તક મળશે. 
 
૩. TET-1 અને TET-2 પરીક્ષા માટે મહત્વનો નિર્ણય 
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હવે બી.એડ., પીટીસી, ચાર વર્ષીય બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, સ્પેશિયલ બી.એડ. વગેરે કોર્સમાં છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ TET-1 અને TET-2 પરીક્ષા આપી શકશે. આ નિર્ણયથી છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં હજારો વિદ્યાર્થીઓને લાભ મળશે. 
 
૪. NCC અને NSSના કેડેટ્સ માટે મહત્વનો નિર્ણય 
શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયાના મેરિટમાં NCC-A પ્રમાણપત્ર ધારકને બે ગુણ, NCC-B પ્રમાણપત્ર ધારકને ત્રણ ગુણ તેમજ NCC-C પ્રમાણપત્ર ધારકને પાંચ ગુણ આપવામાં આવશે. જ્યારે NSSમાં નિયમિત પ્રવૃત્તિમાં પ્રતિ વિદ્યાર્થી દીઠ હાલ રૂ. ૨૫૦/- આપવામાં આવે છે, જેમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧૫૦-૧૫૦નો વધારો કરીને હવે કુલ રૂ. ૫૫૦/- મળવાપાત્ર થશે. ખાસ પ્રવૃત્તિ શિબિરમાં હાલ પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ. ૪૫૦ આપવામાં આવતા હતાં જે વધારીને કુલ રૂ. ૯૦૦ કરવામાં આવ્યાં છે. 
 
આ ઉપરાંત રાજ્યકક્ષાના એનએસએસ એવૉર્ડમાં રોકડ પુરસ્કાર અંતર્ગત પ્રોગ્રામ કો-ઑર્ડિનેટરને રૂ. ૧૦ હજારને બદલે રૂ. ૧૫ હજાર, પ્રોગ્રામ ઑફિસર દીઠ રૂ. ૫,૦૦૦/-ને બદલે રૂ. ૭,૫૦૦/- તેમજ કન્યા અને કુમાર માટે સ્વયંસેવક દીઠ રૂ. ૩,૦૦૦/-ને બદલે રૂ. ૫,૦૦૦/-ની જોગવાઈ કરાઈ છે. જ્યારે રાજ્ય એનએસએસ એવૉર્ડ માટે પ્લસ ટુ કક્ષાના શાળાના કન્યા-કુમાર સ્વયંસેવકો માટે નવી કેટેગરી શરૂ કરાઈ છે, જેમાં સ્વયંસેવક દીઠ રૂ. ૫,૦૦૦/-ની ઇનામી રકમ અને પ્રશસ્તિપત્ર અપાશે.