શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી કાવ્ય
Written By સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી|

મને જોઈને ઊડી જતા પક્ષીઓને

રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો ?
પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું
ના, ના, કો દી તમ શરીરને કાંઈ બાહિ કરુ હું,

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લુ મારુ ઉપવન સદા પંખીડાં સર્વને છે;
રે રે ! તોયે કુદરતી મળી ટેવ બીવા જનોથી,
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો, હા !
પાણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના !
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી,
રે રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.