મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

મોટા ઘરની દિકરી ભાગ -3

N.D
શ્રીકંઠ સિંહ શનિવારે ઘરે આવતા હતા. ગુરૂવારે આ ઘટના થઈ અને બે દિવસ સુધી આનંદી કોપભવનમાં રહી. ન કશુ ખાધુ કે પીધુ, તેમની રાહ જોતી રહી. છેવટે શનિવારે તેઓ નિયમમુજબ સાંજના સમયે ઘરે આવ્યા અને બહાર બેસીને થોડી વાર સુધી અહીં-તહીંની વાત કરી, કેટલીક દેશકાળ સંબંધી સમાચાર અને કેટલાક નવા મુકદ્દમાં વગેરેની ચર્ચા કરવા લાગ્યા. આ વાર્તાલાપ દસ વાગ્યા સુધી થતો રહ્યો. ગામના ભદ્ર પુરૂષોને આ વાતોમાં એવો આનંદ મળતો હતો કે ખાવા પીવાનુ પણ ભાન નહોતુ રહેતુ.

શ્રી કંઠને આ બધાથી પીછો છોડાવવો મુશ્કેલ થઈ જતો. આ બે ત્રણ કલાક આનંદીએ બહુ મુશ્કેલીથી કાઢ્યા. જેમતેમ કરીને જમવાનો સમય થઈ ગયો. પંચાયત ઉઠી ગઈ. એકાંત થયુ, તો લાલબિહારીએ કહ્યુ - ભાઈ તમે જરા ભાભીને સમજાવી દેજો કે મોઢું સાચવીને બોલ્યા કરે, નહી તો કોઈક દિવસે અનર્થ થઈ જશે.

બેનીમાધવ સિંહે છોકરાની વાતને ટેકો આપતા કહ્યુ કે - હા, વહુ-છોકરીઓનો આવો સ્વભાવ સારો નહી કે તેઓ માણસો સાથે જીભા જોડી કરે.

લાલબિહારી - તે મોટા ઘરની દિકરી છે તો અમે પણ કાંઈ ચમાર-સુથાર નથી. શ્રીકંઠે ચિંતા સાથે પૂછ્યુ - કોઈ કહેશો કે છેવટે વાત શુ છે ?

લાલબિહારીએ કહ્યુ - કશુ જ નહી બસ, એમ જ વઢી પડી. પિયરવાળા સામે તો અમને કાંઈ સમજતી જ નથી.

શ્રીકંઠ ખાઈપીને આનંદી પાસે ગયો. તે તમતમીને બેસી હતી. આ હજરત પણ થોડા ગુસ્સામાં હતા. આનંદીએ પૂછ્યુ - તમારુ મન તો ખુશ છે.
શ્રી કંઠ બોલ્યા - ખૂબ જ પ્રસન્ન છુ. પણ તેં આજકાલ ઘરમાં આ શુ તમાસો લગાવી મૂક્યો છે ?

આનંદીને તો જાણે આગમાં ઘી હોમાયુ, શરીરમાં એક આગ ભડકી ઉઠી. તે બોલી - જેણે તમને આ આગ ચાંપી છે તે મળે તો તેનુ મોઢુ બાળી નાખુ.

શ્રીકંઠે કહ્યુ - આટલી ગુસ્સે કેમ થાય છે ? વાત શી છે એ તો કહે.

આનંદી - શુ કહુ, આ તો મારુ નસીબ છે ! નહી તો એક ગામડિયો છોકરો, જે નોકર બનવા પણ યોગ્ય નથી, મને દંડાથી મારીને આમ ન અકડતો.

શ્રીકંઠ - બધી વાત ચોખ્ખી રીતે કહે તો ખબર પડે. મને તો કશી ખબર નથી.
આનંદી - પરમ દિવસે તમારા લાડકા ભાઈએ મને માંસ પકવવાનુ કહ્યુ. ઘી વાસણમાં અઢીસો ગ્રામથી વધુ નહોતુ. તે બધુ મેં માંસમા નાખી દીધુ. જ્યારે જમવા બેસ્યો તો કહેવા લાગ્યો - દાળમાં ઘી નથી. બસ, આ જ વાત મારા પિયરીયાઓ વિશે જેવુ તેવુ બોલવા લાગ્યો. મારાથી ન રહેવાયુ, તેથી મેં કહી દીધુ કે આટલુ ઘી તો અમારા નોકર ખાઈ જાય છે. બસ આટલી અમથી વાત પર આ અન્યાયીએ મારા પર દંડો ઉઠાવીને ફેક્યો. જો હુ હાથ વડે ન રોકતી તો મારુ માથુ ફાટી જતુ. તેને જ પૂછો કે મેં જે પણ કાંઈ કહ્યુ તે સાચુ છે કે ખોટું.

શ્રીકંઠની આંખો લાલ થઈ ગઈ, તે બોલ્યા - આટલી હદ સુધી વાત થઈ ગઈ,આ છોકરાની આટલી હિમંત !

આનંદી સ્ત્રીઓના સ્વભાવમુજબ રડવા લાગી. કારણકે આંસુ તો તેમની પલક પર જ રહેતા હોય છે. શ્રીકંઠ ખૂબ જ ધેર્યવાન અને શાંત પુરૂષ હતા. તેમણે કદાચ જ ક્યારેક ગુસ્સો આવતો હશે. સ્ત્રીઓના આંસુ પુરૂષોના ગુસ્સાને ભડકાવવાનુ કામ કરે છે. આખીરાત તેઓ પડખું ફેરવતા રહ્યા. ગુસ્સાને કારણે તેમને ઉઘ પણ ન આવી. સવારે પોતાના પિતાજી પાસે જઈને બોલ્યા -દાદા, હવે આ ઘરમાં મારો નિર્વાહ નહી થાય.

આ પ્રકારની વિદ્રોહપૂર્ણ વાતો કહેવાથી શ્રીકંઠે કેટલીય વાર પોતાના મિત્રોને ધમકાવ્યા હતા,પરંતુ દુર્ભાગ્ય ,આજે તેમણે પોતે જ તે વાતો પોતાના મોઢેથી બોલી રહ્યા છે. બીજાએ ઉપદેશ આપવુ કેટલુ સરળ છે.

બેનીમાધવ સિંહ ઘબરાઈ ગયા બોલ્યા - કેમ ?
શ્રીકંઠ - એ માટે કે મને પણ મારી માન-મર્યાદાનો વિચાર છે. તમારા ઘરમાં હવે અન્યાય અને હઠનો પ્રકોપ થઈ રહ્યો છે. જેમણે મોટા લોકોનો આદર સત્કાર કરવો જોઈએ તે તેમના માથે ચઢી બેસે છે. હુ બીજાનો નોકર છુ ઘરે રહેતો નથી. અહી મારી પાછળ સ્ત્રીઓને દંડો અને ચંપલોનો વરસાદ વરસાવવામાં આવે છે. કડવી વાત સુધી તો ઠીક છે. કોઈ એકની બે કહી દે, ત્યાં સુધી હુ સહન કરી શકુ છુ. પણ આ કદી નથી સહન કરુ કે મારા પર લાત કે જૂતા પડે, અને હું દમ પણ ન મારુ.

બેની માધવ તેમની વાતનો જવાબ ન આપી શક્યા. શ્રીકંઠ હંમેશા તેમનો આદર કરતા હતા. તેમના આવા તેવર જોઈને વૃધ્ધ ઠાકુર અવાક રહી ગયા. એટલુ જ બોલ્યા બેટા તુ બુધ્ધિમાન થઈને આવી વાતો કરે છે. સ્ત્રીઓ આવી રીતે ઘરનો વિનાશ કરે છે. તેમને વધુ માથા પર ચઢાવવી જોઈએ નહી.

શ્રીકંઠ - એટલુ તો હું પણ જાણુ છુ. તમારા આશીર્વાદથી આટલો મૂર્ખ તો નથી. તમને તો ખબર છે કે મારા સમજાવવાથી આ ગામના કેટલાય ઘર તૂટતા બચ્યા છે, પણ જે સ્ત્રીની માન-પ્રતિષ્ઠાનો ઈશ્વરના દરબારમાં જવાબ આપવાનો છે, તેના પ્રત્યે આવો ઘોર અન્યાય અને પશુ જેવો વ્યવ્હાર મને અસહ્ય છે. તમે સાચુ માનો કે મારી માટે એ ઓછુ નથી કે હું લાલબિહારીને કોઈ દંડ નથી આપતો.


હવે બેનીમાધવ સિંહને પણ ગુસ્સો આવ્યો. તેઓ વધુ આ વાતો ન સાંભળી શક્યા. બોલ્યા - લાલબિહારી તમારો ભાઈ છે તેનાથી જ્યારે પણ આવી ભૂલ થાય તો તુ તેનો કાન પકડ પણ.......

શ્રીકંઠ - લાલબિહારીને હું હવે મારો ભાઈ નથી સમજતો.
બેનીમાધવ સિંહ - સ્ત્રીની પાછળ ?
શ્રીકંઠ - જી નહી, તેની ક્રૂરતા અને અવિવેકને કારણે.

બંને થોડી વાર સુધી ચૂપ રહ્યા. ઠાકુર સાહેબ છોકરાનો ગુસ્સો શાંત કરવા માંગતા હતા. પણ આ વાત સ્વીકાર કરવા નહોતા માંગતા કે લાલબિહારીએ કોઈ ખોટું કામ કર્યુ છે. આ જ સમયે ગામના કેટલાક સજ્જનો હુક્કો ચિલમ પીવાને બહાને ત્યં આવીને બેસ્યા. કેટલીક સ્ત્રીઓને જ્યારે આ વાતની ખબર પડી કે સ્ત્રીને પાછળ પિતા સાથે લડવા તૈયાર છે તો તેઓ ઘણી ખુશ થઈ. બંને પક્ષની મધુર વાણી સાંભળવા તેમની આત્મા છટપટાવા માંડી. ગામના કેટલાક એવા કુટિલ માણસો હતા જે આ કુળની નીતિપૂર્ણ ગતિ પર મનમાં ને મનમાં જ બળતા હતા. તેઓ કહેતા હતા કે - શ્રીકંઠ પોતાના બાપથી દબાય છે. તેથી ડબ્બૂ છે. તેણે ભણેલો છે, તેથી પુસ્તકનો કીડો છે. બેનીમાઘવ સિંહ તેમની સલાહ વગર કોઈ કામ નથી કરતા, આ તેમની મૂર્ખતા છે. આ મહાનુભાવોની શુભેચ્છાઓ આજે પૂરી થતી લાગી. કોઈ હુક્કો પીવાને બહાને તો કોઈ રસીદ બતાવવાને બહાને આવીને બેસી ગયા. બેનીમાધવ સિંહ જુના માણસ હતા. તેઓ આ લોકોની ચાલને ઓળખી ગયા. તેમણે નક્કી કર્યુ કે કશુ પણ કેમ ન થાય, પણ હું આ દ્રોહીઓને તાળીઓ પાડવાની તક નહી આપુ. તેમણે તરત જ મધુર સ્વરમાં કહ્યુ - બેટા હું તારાથી અલગ થોડી છુ, તને જે કરવુ હોયુ તે કર, હવે તો છોકરાથી ભૂલ થઈ ગઈ.

ઈલાહાબાદનો અનુભવરહિત ગુસ્સાથી તમતમતો ગ્રેજ્યુએટ આ વાતને સમજી શક્યો નહી. તેણે ડિબેટિંગ ક્લબમાં પોતાની વાત પકડી રાખવાની આદત હતી, તે આ હથકંડાને કેવી રીતે સમજે ? બાપાએ જે મતલબે વાતને પલટી હતી, તે તેને ન સમજાઈ. તે બોલ્યો - લાલબિહારીની સાથે હવે આ ઘરમાં હુ નહી રહુ.
બેનીમાધવ - બેટા બુધ્ધિમાન લોકો મૂર્ખોની વાતો પર ધ્યાન નથી આપતા. તે તો નાસમજ છોકરો છે. તેણે જે કાંઈ કર્યુ તે તેની ભૂલ હતી. તુ તેને મોટો થઈને માફ કરી દે.

હુ તેની આ દુષ્ટતાને કદી માફ નહી કરુ. કાં તો એ આ ઘરમાં રહેશે અથવા હું. તમને એ વધુ વ્હાલો હોય તો મને અહીંથી વિદાય આપો. અને મને રાખવા માંગતા હોય તો તેને કહો કે અહીંથી ચાલ્યો જાય. બસ, આ જ મારો છેલ્લો નિર્ણય છે.

લાલબિહારી સિંહ દરવાજા પર ઉભો ઉભો બધુ ચૂપચાપ સાંભળી રહ્યો હતો. તે મોટાભાઈનો ખૂબ આદર કરતો હતો. તેણે કદી એટલી હિમંત નહોતી કરી કે શ્રીકંઠની સામે જઈને ખાટલા પર બેસીને ચિલમ પીવે કે પાન ખાય. બાપનુ પણ તે આટલુ જ સન્માન કરતો હતો. શ્રીકંઠનો પણ તેની પર એટલો જ સ્નેહ હતો. તેમણે કદી પણ તેની પર ગુસ્સો નહોતો કર્યો. જ્યારે પણ તેઓ ઈલાહાબાદથી આવતા ત્યારે તેની માટે કોઈને કોઈ વસ્તુ જરૂર લાવતા. ગયા વર્ષે જ્યારે તેણે નાગપંચમીના દિવસે પોતાનાથી દોઢા જવાનને કુસ્તીમાં પછાડ્યો ત્યારે તેમણે ખુશ થઈને અખાડામાં જઈને જ તેણે ભેટી પડ્યા હતા. પાંચ રૂપિયાના પૈસા લુટાવ્યા હતા. આવા ભાઈના મોઢેથી આવી વાતો સાંભળી લાલબિહારીને ખૂબ દુ:ખ થયુ. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેમા કોઈ શક નહોતો કે તે પોતાના કૃત્ય પર પછતાઈ રહ્યો હતો. ભાઈના આવવાના એક દિવસ પહેલા જ તેને ધ્રાસકો પડ્યો હતો કે કોણ જાણે ભાઈ શુ કહેશે. હુ તેમની સામે કેવી રીતે જઈશ. તેણે લાગ્યુ હતુ કે ભાઈ મને બોલાવીને સમજાવી દેશે. આ આશાથી વિરુધ્ધ આજે તેણે ભાઈને નિર્દયતાની મૂર્તિ બનેલો જોયો. તે મૂર્ખ હતો. પરંતુ તેનુ મન કહેતુ હતુ કે ભાઈ મારી સાથે અન્યાય કરી રહ્યા છે. જો શ્રીકંઠ તેને એકલાને બોલાવીને બેચાર વાતો સંભળાવી દેતા કે બેચાર થપ્પડ મારી દેતા તો પણ તેને કદાચ આટલુ દુ:ખ ન થાત, પણ ભાઈનુ તો કહેવુ હતુ કે તેઓ મારુ મોઢુ પણ જોવા નથી માંગતા, લાલબિહારી આ વાતને સહન ન કરી શક્યો. તે રડતો રડતો ઘરે આવ્યો. રૂમમાં જઈને કપડાં પહેર્યા, આંખો લૂંછી, જેનાથી કોઈ એ ન સમજે કે તે રડી રહ્યો હતો. ત્યારે આનંદીને દરવાજે આવીને બોલ્યો - ભાભી, ભાઈએ નક્કી કર્યુ છે કે તેઓ મારી સાથે ઘરમાં નહી રહે. હવે તેઓ મારુ મોઢુ જોવા નથી માંગતા, તેથી હવે હું જાઉં છુ. તેમને ફરી મોઢું નહી બતાવુ. મારાથી જે ભૂલ થઈ તેને માફ કરજો.

આટલુ બોલતા તો લાલબિહારીનુ ગળું ભરાઈ ગયુ.

વધુ આવતા અંકે.