શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By દેવાંગ મેવાડા|

રાવણની અનન્ય શિવભક્તિ

દસ મસ્તક વાળો રાવણ ગગનભેદી સૂરે જ્યારે શિવ તાંડવનુ પઠન કરતો હશે, ત્યારે વિજળીના કડાકા, સિંહની ગર્જના, વાદળોના ગડગડાટ પણ શમી જતાં હશે

W.DW.D
શિવની આરાધના, તપશ્ચર્યા અથવા ભક્તિની વાત કરીએ ત્યારે ભગવાન શંકરના અનન્ય ભક્ત રાવણનો ઉલ્લેખ કરવો અનિવાર્ય થઈ પડે છે. શાસ્ત્રોનો જાણકાર, વિદ્વાન, વિરાટ, મહા શક્તિશાળી, બુદ્ધીશાળી, ભયંકર, દસ માથાવાળા લંકાપતિ રાવણની કલ્પના કરીએ તો નજર સમક્ષ એક વિશેષ વ્યક્તિત્વ ઉપસ્થીત થાય. આવા પરમ પરાક્રમી રાવણની શિવભક્તિ પણ અત્યંત રોચક હતી. રાવણ આશુતોષની પૂજામાં એટલો તલ્લીન થઈ જતો કે તેને દેહસુધ્ધાનુ ભાન નહોતુ રહેતુ.

તેની શિવભક્તિની ચરમસીમા એ હતી કે, ભોળાનાથનો કૃપા પ્રસાદ પામવા માટે એક વખત તેણે પ્રજ્વલિત યજ્ઞકુંડમાં પોતાના દસ મસ્તક પૈકીનુ એક હોમી દીધુ હતુ. આટલાથી જ તે રોકાયો નહીં અને તેણે એક પછી એક નવ માથા યજ્ઞકુંડમાં પધરાવી દીધા. તે પોતાનુ દસમુ મસ્તક કાપવા જઈ રહ્યો હતો ત્યારે ભગવાન શિવ સાક્ષાત પ્રકટ થયા અને તેને અનેક વરદાનો આપ્યા હતા.

મહા ભયંકર લંકાપતિ રાવણના સ્વામી ભગવાન સદાશિવ પણ તેના ઉપર એટલા જ પ્રસન્ન હતા. ભગવાનને ભોળાનાથ એટલે જ કહેવામાં આવે છે કારણ કે તેઓ ક્યારેય ભક્તના આશય તરફ જોતાં નથી માત્ર તેની ભક્તિ તરફ જ જુએ છે અને તેની સકળ મનોકામના પૂર્ણ કરે છે. રાવણના માથા ઉપર શિવનો હાથ હતો એટલે જ તેને મારવા માટે ભગવાન રામને પણ અનેક મુશ્કેલીઓને સામનો કરવો પડ્યો હતો. શિવના મળેલા વિશેષ વરદાનને કારણે તેનો અંત સંભવ ન હતો જેથી ભગવાને સ્વયં મનુષ્યનુ રૂપ ધારણ કરવુ પડ્યું હતુ. ભગવાન રુદ્રના અનન્ય પ્રેમને પામનાર રાવણનો અંત પણ સ્વયં ભગવાનના હાથે જ થયો હતો.

રાવણની શિવ આરાધનાની પધ્ધતિ પણ અનોખી હતી. તેણે ભગવાન શિવની વિશેષ પૂજા કરવા માટે શિવ તાંડવ સ્ત્રોતની રચના કરી હતી. ભક્ત રાવણ અને ભગવાન રુદ્રના અતિ ભયંકર સ્વરૂપની કલ્પના માત્ર જ થથરાવી નાંખે તેવી છે. દસ મસ્તક વાળો રાવણ ગગનભેદી સૂરે જ્યારે શિવ તાંડવનુ પઠન કરતો હશે, ત્યારે જાણે વિજળીના કડાકા, સિંહની ગર્જના, વાદળોના ગડગડાટ પણ શમી જતાં હશે.

રાવણ દ્વારા નિર્મિત તાંડવ સ્ત્રોતના પઠન માત્રથી જ પામર મનુષ્યના સઘળા દુઃખો દુર થઈ જાય છે અને વ્યક્તિમાં અનેરા આત્મવિશ્વાસનો સંચાર થાય છે. રાવણ દ્વારા લિખીત તાંડવ સ્ત્રોતનુ ફળકથન પણ જાણવા જેવુ છે. રાવણના આ વિશેષ કાવ્યનુ પ્રદોષની રાત્રે અગિયાર વખત પઠન કરવામાં આવે તો વ્યક્તિને ક્યારેય ધનની ખોટ પડતી નથી. રાવણ જેવા શિવભક્ત બનવાનો હળવો પ્રયાસ કરો, જેમાં આંશિક સફળતા પણ મળે તો ભોળાનાથની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે.