શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ દેવતા
Written By
Last Updated : સોમવાર, 21 માર્ચ 2016 (15:33 IST)

વિષ્ણુ ભગવાન અને તેમના પ્રતિકો

ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનના ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. આ મૂર્તિ અને તેનાં પ્રતીકોને ન સમજનાર એક મિત્રે એક વાર કહ્યું કે, આ મૂર્તિ બધી જુનવાણી નથી લાગતી ? ચક્ર અને ગદા જેવાં જૂનાં હથિયારોનું આજે શું મૂલ્ય ? આજે તો ભગવાને આપણા અને તેના પોતાના રક્ષણ માટે હાથમાં ‘ન્યુટોન બોમ્બ’ કે ‘લેસર ગન’ રાખવાં જોઇએ. અને આવં કંઇક હાથમાં હોય તો ભગવાન જરા ‘મોડર્ન’ લાગે. આ તો ભગવાન એટલા જૂનવાણી લાગે છે કે અમારા આવા ભગવાન છે તે કહેતાં પણ સંકોચ થાય છે.
આવી દલીલો કરનારને ક્યાં ખબર છે કે ચતુર્ભુજ ભગવાને હાથમાં ધારણ કરેલ પ્રતીકો  આજે પણ યથાર્થતા ધરાવે છે. ફક્ત તેમનાં દર્શન કરવા જઇએ ત્યારે એ પ્રતીકોમાંથી પ્રગટ થતાં અર્થોને નીહાળતા પુનિત દૃષ્ટિ હોવી જોઇએ. એ પ્રતીકોમાંથી નીકળતા અર્થગંભીર શબ્દોને સાંભળવા કાન જોઇએ. સૃષ્ટિના ચારનો અંક એવો છે કે જેનાંથી સૃષ્ટિનું નિર્માણ થયું અને સૃષ્ટિનો ક્રમ બન્યો.
ભગવાન વિષ્ણુને સૃષ્ટિ રચનાનો સંકલ્પ થયો કે તેમના નાભિકમલમાંથી ચાર મુખવાળા બ્રહ્મા પ્રગટ્યા. આ ચતુર્મુખ બ્રહ્માના ચાર હાથમાં ચાર વેદો, ‌ઋગ્વેદ, યજુર્વેદે, સામવેદ અને અથર્વવેદ. અને બ્રહ્માનાં ચાર મુખ ચાર દિશાઓ ઉત્તર, ‌દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફ હતાં. ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ચતુર્મુખ બ્રહ્માએ પ્રાણીઓને ચાર વર્ગોમાં વિભાજિત કર્યા - અંડજ, જરાયુજ, સ્વેદેજ, તથા ઉદ્ભિજ. ત્યાર પછી માનવીય સૃષ્ટિની રચના માટે માનસપુત્રો ઉત્પન્ન કર્યા. સનક, સનન્ન્દન, સનત્કુમાર અને સનાતન. અને ત્યાર પછી માનવોના વિકાસ માટે ચાર વર્ણો અને ચાર આશ્રમોની રચના કરી.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વળી થયા અને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ ચાર આશ્રમો થયા અને મનુષ્યને કર્મ કરવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષોર્થ પણ પ્રભુએ પ્રદાન કર્યા. આમ સૃષ્ટિની શરૂઆતથી ‘ચાર’નો આકંડો વિશિષ્ટ બની ગયો છે. અને તેથી જ પ્રભુ વિષ્ણુએ ચાર હાથ ધારણ કરી તેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મનાં ચાર પ્રતીકો ધારણ કર્યા છે. ચતુર્ભુજ પ્રભુએ ધારણ કરેલાં આ ચાર પ્રતીકોનાં શાસ્ત્રો અર્થો શું છે ? તે ચાર પ્રતીકો સમાજના ચાર વર્ણો, વ્યક્તિના જીવનના ચાર આશ્રમો, ચાર પુરુષોર્થો વગેરેનું કઇ રીતે પ્રતિપાદન કરે છે તથા આપણને જીવનલક્ષી શું સંદેશાઓ આપે છે તે વિચારીશું.•