અમરનાથ યાત્રા દરમિયાન અકસ્માત, જમ્મુ-શ્રીનગર હાઇવે પર 10 શ્રદ્ધાળુઓ ઘાયલ
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અમરનાથ યાત્રા દરમિયાન એક બસ અકસ્માતગ્રસ્ત થઈ. આ બસ શ્રદ્ધાળુઓને પવિત્ર અમરનાથ ગુફા તરફ લઈ જઈ રહી હતી, ત્યારે અચાનક બસનું સંતુલન ખોવાઈ ગયું અને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ યાત્રાળુઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કૈમોહ હોસ્પિટલના એક ડૉક્ટરે માહિતી આપી હતી કે લગભગ નવ યાત્રાળુઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સરકારી મેડિકલ કોલેજ (GMC) અનંતનાગ રિફર કરવામાં આવ્યા હતા.
ડૉક્ટરે જણાવ્યું હતું કે તમામ ઘાયલ યાત્રાળુઓની ઇજાઓ નાની છે અને તેમની સ્થિતિ સ્થિર છે. તેમને વધુ સારી સારવાર અને ઔપચારિકતાઓ માટે જીએમસી અનંતનાગ મોકલવામાં આવ્યા છે.