અમરનાથ યાત્રા ફરી અટકી, ખરાબ હવામાને શ્રદ્ધાળુઓને રોક્યા
ખરાબ હવામાનને કારણે શુક્રવારે સતત બીજા દિવસે જમ્મુથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીર હિમાલયમાં સ્થિત અમરનાથ ગુફા મંદિર તરફ આગળ વધવા માટે કોઈ નવા યાત્રાળુ જૂથને મંજૂરી આપવામાં આવી ન હતી.
બહારથી આવતા શ્રદ્ધાળુઓને હવામાનની સ્થિતિની સમીક્ષા કર્યા પછી જ પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પ મોકલવામાં આવશે, હાલમાં તેમને કડક સુરક્ષા સાથે ભગવતી નગર બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા છે.
નોંધનીય છે કે 3 જુલાઈથી શરૂ થયેલી 38 દિવસની આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓ 3,880 મીટરની ઊંચાઈ પર સ્થિત પવિત્ર ગુફામાં બરફ લિંગના દર્શન કરી ચૂક્યા છે. યાત્રા માહિતી અધિકારીએ જણાવ્યું હતું કે, "ખરાબ હવામાનને કારણે, જમ્મુથી અમરનાથ ગુફા મંદિરની યાત્રા આજે મુલતવી રાખવામાં આવી છે."