શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: બુધવાર, 24 સપ્ટેમ્બર 2014 (14:02 IST)

યુવાધન રાસગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યું છે

નવરાત્રિમાં સોળે શણગાર સજવા માટે યુવક-યુવતીઓએ તૈયારીઓને પણ આખરી ઓપ આપવાનું શરૃ કરી દીધું છે. ત્યારે પશ્ચિમના રંગા રંગાયેલું યુવધન રાસગરબાની રમઝટ બોલાવવાની સાથે નવે નવ દી' ગ્રુપમાં અન્યથી હટકે દેખાવવા માટે ડિઝાઈનર ટ્રેડિશનલ ડ્રેસોની ખરીદીમાં વ્યસ્ત બન્યો છે. જેના કારણે ટ્રેડીશનલ ડ્રેસનું બજાર ગરમ બન્યું છે. ઉપરાંત ઈમિટેશનલ જ્વેલરી, ટેટૂ સહિતના અન્ય શણગારના સાધનોની પણ ખરીદારી પૂરજોશમાં ચાલી રહી છે. નવરાત્રિ રાસગરબા અને દાંડિયા લેવાનું જ નહીં પણ માં આદ્યશક્તિની આરાધના અને ભક્તિનું મહાપર્વ છે. ત્યારે નવરાત્રિમાં ઘરે માતાજીનો ગરબો પ્રસ્થાપિત કરી તેમાં ૯ દિવસ સુધી અખંડ જ્યોત રાખવાની માહાત્મય આદિકાળથી ચાલ્યું આવે છે. જેના કારણે ગરબા બનાવતા કુંભાર પરિવારો પણ વ્યસ્ત બન્યા છે. સમય સાથે ગરબાને પણ આધુનિકતાનો રંગ લાગી જતા હવે સાદા ગરબા ઉપરાંત નવરંગી ડિઝાઈનવાળા પણ ગરબાની માંગ ખાસી જોવા મળી રહી છે.

આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થશે તેની સાથે જ શહેરમાં પ્રોફેશનલ અને જાહેર સ્થળો પર રાસગરબાના કાર્યક્રમોમાં ખેલૈયાઓ રમઝટ બોલાવશે. ત્યારે નવરાત્રિ દરમિયાન સુંદર દેખાવા માટે યુવતીઓ અલગ અલગ પ્રકારની તથા ડિઝાઈન્સની ચણિયાચોળી અને યુવાનો કેરિયાની ખરીદી કરવામાં વ્યસ્ત બન્યા છે. ચણિયાચોળી અને કેરિયાના વ્યવસાય કરતા કમલેશભાઈએ જણાવ્યું હતુ કે, છેલ્લા થોડા વર્ષોથી નવરાત્રિના રાસગરબા આયોજનોમાં ટ્રેડિશનલ ડ્રેસની બોલબાલા વધી છે. જેના કારણે યુવક-યુવતીઓ ભાદરવા માસથી જ ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી શરૃ કરી દેતા હોય છે. આ વર્ષે કોડી-ભરતકામ, કચ્છી વર્ક અને ગામઠી લૂંકવાળા ચણિયાચોળીની બહેનોમાં સારી ડિમાન્ડ છે. જ્યારે ભાઈઓ માટે રાવડી રાઠોડ ટાઉપના કેરિયા, કુર્તા, ધોતી, પાઘડી, પઠાણી, મોજડીનું ચલણ વધુ જોવા મળી રહ્યું છે. મોંઘા ભાવે મળતા ટ્રેડિશનલ ડ્રેસનો ઘણાં ખેલૈયાઓને ખર્ચો પરવડે તેમ ન હોય જેના કારણે નવરાત્રિમાં લોકો ભાડેથી પણ ટ્રેડિશનલ ડ્રેસ લાવતા હોય છે. જ્યારે નવી ડિઝાઈન્સ અને કઈક હટકે દેખાવા માટે ખેલૈયાઓ અમદાવાદ પણ તરફ વળે છે. જ્યાં લો ગાર્ડન ખાતે ભરાતી ચણિયાચોળી અને કેળિયાની બજારમાં જઈ ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી કરે છે.

આ ઉપરાંત નવરાત્રિ દરમિયા ગુડ લુક્સ માટે યુવક-યુવતીઓ અગાઉથી પ્લાનીંગ કરી ડ્રેસને મેચીંગ થતી ઈમિટેશનલ જ્વેલરી પણ ખરીદી કરે છે. ટ્રેડીશનલ ડ્રેસ, જ્વેલરી ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી યુવાધનમાં ટેટૂનો પણ ક્રેઝ વધ્યો હોય, ટેમ્પરરી ટેટૂની માગ વધી છે. નવરાત્રિ માં આદ્યશક્તિનું ઉપવાસનાનું પર્વ છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં આદિકાળથી ગરબાનું પણ એટલું જ મહત્વ રહેલું છે. સમયની સાથે માટીથી બનતા માતાજીના ગરબામાં પણ આધુનિકતાનો રંગ લાગ્યો છે.

બજારમાં સ્ટીલના ગરબા મળતા હોવા છતાં આજે પણ લોકો માટીથી ઘડાયેલા ગરબા જ ઘરમાં પ્રસ્થાપિત કરવાનો આગ્રહ રાખે છે. જો કે, સમય સાથે પરંપરાગત માટીના ગરબામાં પણ આધુનિકતાનો રંગ ઉમેરાયો છે. લોકોની માંગ સાથે છેલ્લા પાંચ-છ વર્ષથી જીણી રેતી, માટી, પાણી અને લાકડાની રાખથી બનતા ગરબાને વિવિધ કલર અને ટીકી, તૂઈ, ઓઈલપેઈન્ટ સાથે શણગારવામાં આવે છે. નવરાત્રિના ૧પ દિવસ અગાઉ કુંભાર પરિવાર દ્વારા ગરબા બનાવવાનું કામ શરૃ કરી દેવામાં આવે છે. જેમાં કુંભાર પરિવારની બહેનો પણ જોતરાઈ સાદા ઉપરાંત નવરંગી ગરબા બનાવવામાં રાત-દિવસ એક કરી નાંખે છે. વધતી જતી મોંઘવારીની અસર ગરબામાં પણ પડી છે. જેના કારણે સાદો ગરબો રૃ.રપ થી ૩પમાં અને નવરંગી ગરબો રૃ.પ૧માં મળે છે. તેમ તેમણે અંતમાં ઉમેર્યુ હતુ.