Last Modified: ગાંધીનગરઃ , ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2016 (10:49 IST)
પાટીદારોનું સમાઘાન શકય
પાટીદાર આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરી રહેલા જેરામભાઈ પટેલે આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે મીટિંગ કરી હતી. મીટિંગ પછી જેરામભાઈએ પાટીદાર અનામત આંદોલન સમેટવાના અણસાર આપી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે હાર્દિકને સમજાવી લઈશું. આજે જેરામ પટેલની મધ્યસ્થી વચ્ચે પાટીદાર આંદોલનકારી દિનેશ પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલના પરિવાર સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી જેરામ પટેલે આ વાત કરી હતી.
હજુ બે દિવસ પહેલાં જ જેરામભાઈ પટેલે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. જેરામભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહીનાથી સરકાર અને પાટીદારો વચ્ચે મીટિંગ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ હાર્દિક પટેલ અને એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ તેમજ સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. ત્રણેક દિવસ પહેલા હાર્દિક પટેલને સાબરમતી જેલમાં લવાયો ત્યારે જેરામભાઈ પટેલે દિનેશ પટેલ, કેતન પટેલ અને હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી.
જેરામભાઈએ એમ પણ જણાવ્યું હતું કે, કે અત્યારે સરકાર સાથે કોઈ મુદ્દા પર ચર્ચા નથી. તેમણે કહ્યું કે, મેં કહ્યું છે કે, તમારે સમાધાન કરવું હોય, તો નક્કર વાત પર આવો. અમે જે મુદ્દા લઈને આવીએ તેના પર ચર્ચા કરવા તૈયાર હોય તો અમે મધ્યસ્થી કરીએ. આ અંગે સરકાર તૈયાર છે. તેમણે કોની કોની સાથે મુલાકાત કરી હતી, તેવું પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે મુખ્યમંત્રી આનંદીબેન અને કમિટીના સભ્યો નીતિન પટેલ, કૈલાશ નાથન અને મનસુખ માંડવીયા સાથે પણ તેમણે વાતચીત કરી હતી.
તેમણે હાર્દિક પટેલ સાથે શું વાત કરી, તેવું પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, મેં હાર્દિકને કહ્યું છે કે, તમારી જે માગણી છે અને તમારા જે મુદ્દાઓ છે, તે તૈયાર કરીને અમને આપો. આ પછી અમે પાટીદાર આગેવાનોની સમિતિ બનાવીને આ મુદ્દા પર સરકાર જોડે બેસશું.