શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શનિવાર, 10 ડિસેમ્બર 2016 (12:37 IST)

ગુજરાતના પટેલ અનામત આંદોલનને મોટો ઝટકો

ગુજરાતના પટેલ અનામત આંદોલનને પણ લપડાક પડી શકે તેવા એક ચુકાદામાં રાજસ્થાન હાઈકોર્ટે ગુર્જરોને વિશેષ અનામત આપતા પછાત વર્ગના બિલને ગેરબંધારણીય જાહેર કરીને રદબાતલ કરી નાંખ્યું છે. આ બિલમાં ગુર્જરો સહિત અન્ય પાંચ જાતિઓને પછાત વર્ગની વિશેષ શ્રેણીમાં પાંચ ટકા અનામત માટે દાખલ કરવામાં આવ્યા હતા અને આ અંગેનું બિલ રાજસ્થાન વિધાનસભામાં ૨૦૧૫માં રજૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ પટેલ અનામત આંદોલન સમિતિ દ્વારા રાજસ્થાનમાં ગુર્જરોની પેટર્ન પર ઓબીસી અનામત આપવા માટે રાજ્ય સરકારમાં માગણી થઈ રહી છે અને હાલમાં આ અંગે બંને પક્ષો મંત્રણાઓનો દોર પણ ચાલી રહ્યો છે. જોકે, રાજસ્થાન હાઈકોર્ટે ગુર્જર અનામતને રદ કરી દેતાં પટેલ અનામત અંગે પણ મસમોટા સવાલો ખડા થયા છે. આ મામલની સુનાવણી કરતાં જસ્ટિસ મનીષ ભંડારીની બેન્ચે વસુંધરા રાજે સરકારે જાહેર કરેલા વટહુકમને ગેરબંધારણીય ગણાવીને રદ કરી નાંખ્યો છે. રાજેના આ વટહુકમને કેપ્ટન ગુરવિંદરસિંઘ અને સમતા આંદોલને કોર્ટમાં પડકાર્યો હતો. અરજીમાં કહેવાયું હતું કે, દેશમાં અનામતની સીમા ૫૦ ટકા છે પણ નવા કાયદાથી તેની મર્યાદા વધી જઈ રહી છે. ગુર્જર સમાજે હાઈકોર્ટના આ નિર્ણયની સામે નારાજગી જાહેર કરી છે અને હવેથી આરપારની લડાઈ લડવાની જાહેરાત કરી છે. ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના પ્રવક્તા હિંમત સિંહે કહ્યું હતું કે, સરકારે ગુર્જર સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. બે દિવસમાં ગુર્જર મહાપંચાયત આ અંગે ભાવિ નિર્ણય લેશે તેમ સૂત્રોએ કહ્યું હતું. એવું કહેવાય છે કે ગુર્જરો ફરી એક વખત દિલ્હીથી આવતી-જતી ટ્રેનો અટકાવી શકે છે.રાજ્ય સરકારે પહેલી વાર ૨૦૦૮માં વિશેષ પછાત જાતિનો નવો વર્ગ તૈયાર કર્યો હતો અને તે અન્વયે તેમને પાંચ ટકા અનામતની ઘોષણા કરી હતી. આ નવા બિલને કારણે રાજ્યમાં અનામતની ટકાવારી વધીને ૫૪ ટકા સુધી પહોંચી ગઈ હતી. તે પછી રાજ્ય સરકારે ગુર્જર સહિતની પાંચ અન્ય જાતિઓને પાંચ ટકા અનામતવાળા વિશેષ પછાત વર્ગમાં સામેલ કરીને ૨૦૧૫માં નવું બિલ વિધાનસભામાં પસાર કરાવ્યું હતું.