શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (13:04 IST)

ઇમરજન્સી સેવા 108 ના આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સાપ કરડયાના કુલ 21,622 કેસ નોંધાયા

ગુજરાતમાં ખાસ કરીને ચોમાસામાં સાપ કરડવાના બનાવોની સંખ્યા વધી જતી હોય છે. ચાલુ વર્ષે જુલાઇ માસ સુધીમાં રાજ્યમાં સાપ કરડવાના કુલ ૨,૫૨૩ બનાવ બન્યા છે. જે ઇમરજન્સી સેવા ૧૦૮માં નોંધાયા છે. વલસાડમાં સૌથી વધુ ૨૯૧ કેસ નોંધાયા છે. ઉપરાંત ડાંગમાં ૨૪૧, નવસારીમાં ૧૬૮ કેસ સાપ કરડવાના બન્યા હતા.  અમદાવાદમાં ૩૬ કેસ નોંધાયા છે. વરસાદનું પાણી સાપના દરમાં જતું હોવાથી સાપ બહાર નિકળી જતા હોય છે. આથી બગીચામાં, ખેતરમાં ચાલતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ગુજરાતમાં દર વર્ષે ૪ થી ૫ હજાર કેસ સાપ કરડવાના બનતા હોય છે. જેમાં કેટલાક લોકોના મોત પણ થઇ જતા હોય છે. ચોમાસામાં સાપ કરડવાના બનાવ વધુ બનતા જોવા મળે છે. ઇમરજન્સી સેવા ૧૦૮ના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં વર્ષ ૨૦૧૬માં ૪,૧૫૬ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૭માં ૪,૫૯૨, વર્ષ ૨૦૧૮માં ૪,૮૦૬ અને વર્ષ ૨૦૧૯માં ૫,૫૪૫ કેસ ૧૦૮માં નોંધાયા હતા. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર ડૉ. આર.કે.શાહુના જણાવ્યા મુજબ સાપ કરડવાના કિસ્સામાં ગભરાવાની જરૂર નથી. તાત્કાલિક નજીકના દવાખાનામાં પહોંચી જવું, સાપ કરડયાના અડધાથી ૧ કલાક પહેલા જ દવાખાને પહોંચી જવાય તે ખૂબ જરૂરી છે. સાપ કરડયો હોય ત્યાં દોરી બાંધી દેવી કે જેથી કરીને ઝેર શરીરના અન્ય ભાગોમાં ફેલાતું રોકી શકાય. સામાન્ય રીતે બધા સાપ ઝેરી હોતા નથી. કાળોતરો, કોબ્રા-નાગ, ખડચિતરો, ફોરસા ઝેરી હોય છે. આ સાપ કરડે તે માણસ મરી જઇ શકે છે. બાકીના સાપ લગભગ બિનઝેરી પ્રકારના હોય છે. ગો, પાટલા-ગો બિનઝેરી છે. તે કરડે તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. સાપ કરડે તો બે મોટા દાંતના નિશાન જોવા મળે અને ઓછો દુખાવો થાય તે નિશાની ઝેરી સાપ કરડી ગયાની છે. જ્યારે સોજા આવી જાય, અસહ્ય દુખાવો થાય તેમજ સાપના બધા જ દાંતના નિશાન જોવા મળે તો તે સામાન્ય રીતે બિન ઝેરી સાપ કરડયો હોવાની નિશાની માનવામાં આવે છે. બધા જ દરિયાઇ સાપ ઝેરી હોય છે. જ્યારે પાણીનો સાપ, ધામણ, ભંફોળી વગેરે બિનઝેરી છે. ચોમાસામાં સાપ વધુ નિકળતા હોવાથી રાત્રે લાકડી, ટોર્ચ લઇને નિકળવું, બુટ પહેરવા, ફૂલ સાઇઝનું પેન્ટ પહેરવું તેમજ ખેતરમાં ઉંચો માંચડો બનાવીને તેના પર સુવું જોઇએ. સાપ કરડવાના કિસ્સામાં તાત્કાલિક ઇમજરન્સી સેવા ૧૦૮માં ફોન કરીને સારવાર લેવી જોઇએ. તેનાથી જીવ બચી શકે છે.