1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , સોમવાર, 17 જુલાઈ 2023 (18:23 IST)

રાજ્યમાં આંખ આવવાના કેસમાં 40 ટકાનો વધારો, રાજ્ય સરકારે એડવાઈઝરી બહાર પાડી

eye hospital
eye hospital
ચેપ ધરાવતાં દર્દીએ ચશ્મા પહેરવાની સાથે સ્વચ્છતા રાખવી તેમજ ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું
 
આંખમાં લાલાશ-દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી
 
Eye Conjunctivitis ચોમાસાના પ્રારંભ સાથે મચ્છરજન્ય રોગ ઉપરાંત આંખો આવવી (કન્જેક્ટિવાઇટિસ)ના કેસમાં પણ વધારો થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આંખો આવવાની સમસ્યા સમસ્યા સાથે દરરોજ સરેરાશ 15 થી વધુ દર્દીઓ આવે છે. કન્જેક્ટિવાઇટિસને સામાન્ય ભાષામાં  આંખ આવવી કહેવામાં આવે છે. આંખમાં મેમ્બ્રેન્સમાં સોજો આવવાથી આંખ લાલ થઈ જાય છે. કન્જક્ટિવાઇટિસને કારણે આંખ સતત ખૂંચ્યા કરે છે.આંખોમાં સતત ખંજવાળ રહે છે અને સતત પાણી પડ્યા કરે છે. અમદાવાદની સોલા સિવિલ ખાતે કન્જેક્ટિવાઇટિસના દર્દીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી 40 ટકા જેટલો વધારો થયો છે.સોલા સિવિલ ખાતે  હાલમાં દ૨રોજ 15થી વધુ દર્દી આ સમસ્યાની સારવાર માટે આવે છે. સિવિલ હોસ્પિટલના ઓપ્થલ્મિક વોર્ડમાં કન્જેક્ટિવાઇટિસના અગાઉ માત્ર ૧-૨ કેસ આવતા હતા. હવે દ૨રોજ 10 થી 12  કેસ આવે છે. 
 
સુરતમાં આંખના ટીપાનું વેચાણ 10 ગણું વધ્યું
સુરત અને ભાવનગરમાં આંખ આવવી એટલે કે કન્જક્ટિવાઇટિસ બીમારી વકરી છે. રોજ સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ દર્દીની લાંબી લાઈન લાગી રહી છે. સુરતમાં આંખના ટીપાનું વેચાણ 10 ગણું વધ્યું છે. જેમાં આંખ આવવાના વાવરમાં 4 કરોડની દવા વેચાઈ છે. સીઝનમાં 25 કરોડની દવા વેચાવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં રોજ 5થી 7 હજારના આંખના ટીપા વેચાઇ રહ્યા છે.ભાવનગર શહેર અને જિલ્લામાં આંખનો એડીનો વાઇરસ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને લોકો અખીયાં મિલા કે રોગથી પણ ઓળખે છે. આંખના ચેપી રોગે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ભરડો લીધો છે. રાજકોટમાં પણ છેલ્લા ત્રણ દિવસથી 20 ટકા જેટલા આંખ આવવાના કેસ વધી રહ્યા છે. 
 
સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી
કન્જક્ટિવાઇટિસનું પ્રમાણ વધતાં જ રાજ્ય સરકારે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં સરકારે જણાવ્યું છે કે, કન્જક્ટિવાઇટિસથી ગભરાવાની જરૂર નથી પણ, આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કન્જક્ટિવાઇટિસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
 
પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા
‘વાઈરલ કન્જક્ટિવાઇટિસ’થી બચવા સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે. જેમાં  પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા, સાબુથી સમયાન્તરે હાથ અને મો ધોવું. ખાસ કરીને ભીડ-ભાડ વાળી જગ્યાઓ જેમ કે, હોટેલ,  હોસ્ટેલ, મેળાવડા, થીયેટર, એસ.ટી.સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ, વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ જવા-આવવાનું ટાળવું જોઈએ. આંખોમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી. પોતાની જાતે ડોકટરની સલાહ વિના વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇને નાખવા નહીં. ડોક્ટરે દર્શાવેલ ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.
 
તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખવી
વધુમાં પરીવારના કોઈ સભ્યને કનઝંક્ટી વાઈટીસની અસર થઈ હોય તો  તેણે પોતાનો હાથ રૂમાલ, નાહ્વવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી તેમજ અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો. વાઇરલ કનઝંક્ટીવાઈટીસની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઇ જવાની જરૂર નથી પણ તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખવી અને ડોક્ટરની સૂચના મુજબ સમયાન્તરે હોસ્પિટલમાં તપાસ કરાવતા રહેવું. અસરગ્રસ્ત દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ.