1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (19:03 IST)

એરફોર્સ જામનગર ખાતે પહોંચ્યું વિમાન, વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો વરસાદ

ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી હંમેશા ચિંતિત અને તત્પર હોય છે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ પ્રધાનમંત્રી માટે ભારતમાં વસતા નાગરિકો જેટલી જ અગ્રતા ધરાવતી હોય છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલિફટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર ૧૧:૧૫  કલાક આસપાસ પહોંચ્યું હતું. 
અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત રાખવા વતન પરત લાવવા પ્રધાનમંત્રીએ તત્કાલ ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી ત્યાં વસતા ભારતીય નાગરિકોને એરલિફટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. જેમાં ગઈકાલે એક હેલિકોપ્ટર દિલ્હી ખાતે પહોંચ્યું હતું, સાથે જ આજે એરફોર્સના વિમાન C-17 દ્વારા મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે. 
 
જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલ નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. પ્રધાનમંત્રીએ સતત મોનીટરીંગ કરીને આ સમગ્ર મિશન ઉપર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના  કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રથમ તબક્કામાં પણ વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા તેમજ હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અરાજકતા સર્જતા ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ન રહે તે માટે તત્કાલ પ્રધાનમંત્રીએ ભારતીય નાગરિકોની સુરક્ષા હેતુ ભારતીયોને એરલિફટ કરવા મિશન મોડમાં કામગીરી હાથ ધરી હતી. જેમાં આજરોજ આશરે ૧૫૦થી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત વતન પરત ફર્યા છે.