ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2017 (12:31 IST)

શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણ બચાવવા માટે સાયકલ શ્રેષ્ઠ ઉપાય : વિજય રૂપાણી

મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, આજે વિશ્વ આખામાં પર્યાવરણમાં બદલાવ આવી રહ્યો છે. સાથેસાથે પર્યાંવરણ બચાવની ઝુંબેશ એ સમયની માંગ છે ત્યારે પર્યાવરણ બચાવવા અને લોકોની શારીરિક તંદુરસ્તી માટે સાયકલ એ શ્રેષ્ઠ ઉપાય છે એમ તેમણે ઉમેર્યું હતુ. અમદાવાદમાં આશ્રમરોડ સ્થિત વલ્લભસદન ખાતેથી લીલી ઝંડી આપી સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. હજારો લોકોએ આ સાક્લોથોનમાં ભાગ લીધો હતો.  તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, એક સમય હતો કે જ્યારે લોકો સાયકલનો મહત્તમ ઉપયોગ કરતા હતા.

બદલાતા જતા સમયમાં તેનો ઉપયોગ ઓછો થતો ગયો પરિણામે શારીરિક સમસ્યાઓ સાથે પર્યાવરણ પણ બગડતુ ગયુ ત્યારે સાયકલીંગ એ શારીરિક તંદુરસ્તી સાથે પર્યાવરણ જાળવણી માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે. તેની સાથેસાથે વાહનોથી ટ્રાફિક સમસ્યા હળવી કરવા પણ સાયકલનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે.

 તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાતે હંમેશા દેશ અને દુનિયાને દિશાદર્શન કરાવ્યુ છે ત્યારે આ ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં મહત્તમ લોકો સાયકલિંગ માટે પ્રેરાય તે દિશામાં રાજ્ય સરકાર પણ પ્રયત્નશીલ છે એમ તેમણે ઉમેર્યું હતુ.  તેમણે આ આયોજન બદલ આયોજકોને બિરદાવ્યા હતા.