શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 ઑગસ્ટ 2021 (09:20 IST)

ગેમ્બલિંગ ડિસઓર્ડર છોડવા માટે આવતા 80 ટકા દર્દી શ્રાવણ માસમાં નોંધાય છેઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંશોધન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરાયેલા મનોવૈજ્ઞાનિક સંશોધનમાં એવું તારણ નીકળ્યું છે કે કુલ વસ્તીમાં ગેમ્બલિંગ ડિસઓર્ડરવાળા એટલે કે જુગારની લતવાળા અડધા લોકો આત્મહત્યાની વિચારધારા ધરાવે છે, અને તેમાંથી આશરે 17% લોકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે. ગેમ્બલિંગ ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિ પોતાના હારેલ પૈસાને વારંવાર હાર્યા બાદ રમીને તેમાંથી જ મેળવવાની કોશિશ કરે છે. આજકાલ નશામુક્તિ કેન્દ્રોની જેમ જુગારમુક્તિ કેન્દ્રો પણ મોટા પ્રમાણમાં છે. શ્રાવણ મહિનામાં અને IPL સિઝન દરમિયાન અહીં મદદ માટે આવતા લોકોની સંખ્યા ઘણી વધી જાય છે. ગેમ્બલિંગ ડિસઓર્ડર છોડવા માટે આવતા 60 થી 80 ટકા દર્દીઓ શ્રાવણ મહિનામાં નોંધાય છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણે જણાવ્યું કે, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટેસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર પાંચમી આવૃત્તિ (ડીએસએમ -5) માં તેને ‘કમ્પલ્સિવ ગેમ્બલિંગ ડિસઓર્ડર’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.ગેમ્બલિંગ ડિસઓર્ડરના દર્દીના લક્ષણોમાં જુગાર ન રમવા પર બેચેની અને ચીડિયાપણાનો અનુભવ કરે છે, જુગારના પૈસા માટે ચોરી અથવા છેતરપિંડીનો આશરો લેવો, હંમેશા જુગાર વિશે વિચારવું, હંમેશા જુગાર માટે પૈસા ક્યાંથી મળશે તેના વિશે પ્લાનિંગ કરવું, વધારે પૈસા મળે ત્યારે વધુ જુગાર રમવો, જુગારમાં હારેલ પૈસાને જુગાર દ્વારા જ લાવવાનો પ્રયાસ કરવો, જુગારના વ્યસન વિશે પોતાના ઘર-પરિવાર સાથે ખોટું બોલવું, જુગારના વ્યસનને કારણે નોકરી, શાળા અને કામથી સંબંધિત આવશ્યક તકો ગુમાવવી જેવા લક્ષણો જોવા મળે છે. બોધનાત્મક વર્તણુકીય ઉપચાર દર્દી માટે ફાયદાકારક છે. જેમાં વ્યવસ્થિત રીતે વ્યવહાર કરવાની બધી રીતો શીખવવામાં આવે છે, જેનાથી વ્યક્તિ જુગારની તૃષ્ણાઓને કાબૂમાં કરી શકે છે, તેમજ ચીડિયાપણું, અતાર્કિક અને નકારાત્મક વર્તનને બદલે સારી અને સકારાત્મક બાબતો વ્યક્તિ ગ્રહણ કરી શકે છે.