1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 માર્ચ 2022 (08:43 IST)

પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, એક્સપર્ટ સવારે 10થી સાંજે 6:30 માર્ગદર્શન આપશે

28 માર્ચથી ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ,વાલીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર- 18002335500 નંબર 14 માર્ચથી 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્સપર્ટ કાઉન્સલેર અને સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સવારે 10થી સાંજે 6:30 વાગ્યા સુધી હેલ્પલાઇન નંબર ચાલુ રહેશે.ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, જેથી પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.સૂત્રો મુજબ, ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે.રાજ્યમાં ઓમિક્રોનના કેસ આવ્યા બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો સામે આવી રહ્યો હતો. રાજકીય મેળાવડા, લગ્નની સીઝન વગેરેને કારણે દિવાળી બાદ કોરોનાના કેસ વધ્યા હતા, જેથી સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયાં સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. એને કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે, સાથે જ ઉનાળુ વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.