ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (10:32 IST)

ગુજરાતની 'જળ પરીક્ષા' - રાજ્યના હવામાન વિભાગ દ્વારા 3 દિવસ હજુ ભારે વરસાદની આગાહી

rain in surat
છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 3 દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે 40 થી 60 કિમીની ઝપડે પવન ફૂંકાવાની સાથે જ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ભરૂચ, કચ્છમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. પાટણ, બનાસકાંઠા, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

 
રવિવાર સાંજથી ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હતો, જે સોમવારે પણ ચાલુ રહેવા પામ્યો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાં પામ્યાં હતાં, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં તમામ સ્થળોએ વરસાદ થઈ રહ્યો છે. SG હાઈવે, વૈષ્ણોદેવી, તપોવન સર્કલ જેવા વિસ્તારોમાં પણ વરસાદ છે, તો નરોડા, નિકોલ, બાપુનગર, ગુરુકુળમાં વરસાદ થઇ રહ્યો છે. તો કેટલાક સ્થળોએ પાણી ભરાયા હોવાની માહિતી પણ સામે આવી છે.
 
વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. જેના કારણે શહેરની ઉપર ફરી એક વખત પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. સુરત અને નવસારીમાં પણ અતિભારે વરસાદના અહેવાલ છે.
 
રાજકોટમાં ભારે વરસાદને કારણે જિલ્લા તંત્ર દ્વારા 'ધરોહર લોકમેળા'માં ભરાઈ ગયેલા પાણીને દૂર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તેની ઉપર પાણી ફરી વળ્યું હતું.
 
જામનગરમાં વરસાદના તાજેતરના રાઉન્ડથી શહેરને પીવાનું પાણી પૂરું પાડતા રણજીતસાગર સહિત 15 ડૅમ ઑવરફ્લૉ થયા છે.
 
ભાવનગરના જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ નાગરિકોને કૉઝ-વે તથા પાણીનું ઑવરટૉપિંગ થતું હોય તેવા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરી છે. જિલ્લા તંત્ર દ્વારા વરસાદને પગલે ઍલર્ટ આપવામાં આવ્યું છે.
 
સુરેન્દ્રનગરના મૂળી તથા ચોટિલા તાલુકામાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટુકડી સુરેન્દ્રનગર પહોંચી છે. જેને સ્ટૅન્ડ-બાયનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાયલા તથા આસપાસના વિસ્તારોને પાણી પૂરું પાડતો થોરિયાળી ડૅમ ભરાવાની અણિ પર છે. વઢવાણને પાણી પૂરું પાડતો ધોળીધજા ડૅમ પણ છલકાવવા પર છે.
 
મહીસાગર જિલ્લામાં કડાણા ડૅમ છલકાયો છે, જેના કારણે ડૅમના દરવાજા ખોલવાની જરૂર હોય, નીચાણવાળા 40 ગામોને સાવચેતી રાખવા તાકિદ કરવામાં આવી છે.
 
અમરેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને સાવચેતી જાળવવા અપીલ કરી છે. આ સિવાય એનડીઆરએફની એક ટીમ અહીં પહોંચી છે. જાફરાબાદ, શિયાળ બેટ, ધારાબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, તથા ભારે પવનની સંભાવનાને જોતાં દરિયામાં ગયેલા માછીમારોને પણ પરત ફરવા માટે તાકિદ કરવામાં આવી છે.
 
બોટાદમાં ભારે વરસાદની આગાહીને પગલે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય અરવલ્લીમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.
 
ગુજરાતમાં અત્યારસુધીમાં 1,653 લોકોનું રૅસ્ક્યૂ
 
ગુજરાતમાં અત્યારસુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,653 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
 
અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ કાર્યરત્ છે.
 
સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.
 
પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 157 મિલી એટલે કે છ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
 
રાજ્યના માહિતીખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સિઝનનો સરેરાશ 91.88 ટકા વરસાદ પડી ગયો છે. રાજ્યનાં 206 જળાશયોમાંથી 59 જળાશયો ભરાઈ ગયાં છે. 72 જળાશયો હાઇ ઍલર્ટ પર અને 22 જળાશયો ઍલર્ટ પર રાખવામાં આવ્યાં છે.
 
સમગ્ર રાજ્યમાં 7,009 ગામોનો વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો તે પૈકી 6,977 ગામોમાં વીજપૂરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.
 
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
 
તો કેટલાક વિસ્તારોમાં અલગઅલગ જગ્યાએ છુટોછવાયો વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા તો કેટલાંક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં.
 
શનિવારે ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઘાટલોડિયા અને નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
 
દક્ષિણ ગુજરાતનાં વલસાડ, સુરત અને નવસારીમાં રવિવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો.
 
બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટમાં વરસાદે જનમાષ્ટમીના મેળાની મજા બગાડી હતી.
 
રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે.
 
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જીલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટે પ્રબંધન અંગે સૂચના આપી હતી.
 
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી. અમિત શાહે મુખ્ય મંત્રીને રાજ્યને મદદ બાબતે આશ્વાસન આપ્યું હતું.
 
સમાચાર એજન્સી એએનઆઈનાં અહેવાલ પ્રમાણે, શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વાતચીત દરમિયાન રાજ્યને તમામ મદદ આપવાનો વાયદો પણ કર્યો હતો.
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે.