1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Gujarat samachar

પશ્ચિમ બંગાળના 25 બાળમજુરોને રાજકોટમાં વેચી મારવાની શંકાના આધારે મુક્ત કરાયા

પશ્ચિમ બંગાળ
રાજકોટ શહેરના સંતકબીર રોડ પર સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસે સોમવારે દરોડો પાડી 25 બાળકોને મુક્ત કરાવ્યા હતા. બાળકોને બંગાળથી સિકંદર શેખ ઉઠાવી લાવતો હોવાનું ખૂલતાં તેની સામે ગુનો નોંધાયો હતો. મંગળવારે સિકંદર સામે વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. સિકંદર બાળકોને લાવીને રાજકોટમાં વેચી દેવાતો હોવાની શંકાએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. સંતકબીર રોડ પર સિકંદર શેખના કબજાના મકાનમાં રહેતા ત્રણ બાળકો ચારેક દિવસ પૂર્વે ઓરડીમાંથી ભાગીને બંગાળ જવા નીકળ્યા હતા, પરંતુ જૂનાગઢ પહોંચી ગયા હતા. જૂનાગઢના સામાજિક કાર્યકરોએ પૂછપરછ કરતાં બાળ તસ્કરી અને બાળકો પર રાજકોટમાં ત્રાસ ગુજારાતો હોવાનો પર્દાફાશ થયો હતો. સઘળી વિગતો મળતાં સમાજ સુરક્ષા વિભાગ અને રાજકોટ પોલીસે સોમવારે સંતકબીર રોડ પર સિકંદર શેખની ઓરડી અને પિતૃકૃપા નામના કારખાનામાં દરોડો પાડી 25 બાળકોને મુક્ત કરાવ્યા હતા. સિકંદર શેખ સામે આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
આગળનો લેખ
US માં થઈ પાકિસ્તાનના પ્રધાનમંત્રીનો અપમાન, એયરપોર્ટ પર ઉતરાવ્યા કપડા