ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 5 નવેમ્બર 2022 (09:41 IST)

ભાજપને મોટો ઝટકો, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જય નારાયણ વ્યાસે આપ્યું રાજીનામું

jai narayan vyas
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. કોંગ્રેસ તેના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી  છે જ્યારે આપે પોતાના સીએમ પદના ઉમેદવારની જહેરાત કરી છે. ત્યારે બીજી તરફ પક્ષ બદલવાનો દૌર પણ શરૂ થઇ ગયો છે. એક તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આપનો સાથ છોડી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. તો બીજી તરફ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જય નારાયણ વ્યાસે ભાજપમાંથી છેડ્યો ફાડ્યો છે. જેથી ચૂંટણી પહેલાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. 
 
ગુજરાતની ભાજપ સરકારમાં આરોગ્ય મંત્રી રહેલા જય નારાયણ વ્યાસે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવે છે કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, કારણ કે તેઓ ભૂતકાળમાં આ બંને સાથે નિકટતા જોઈ ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે આ વખતે આમ આદમી પાર્ટીની સક્રિયતાને કારણે ગુજરાતમાં ત્રિકોણીય મુકાબલો થવાની આશા છે.
 
પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ 2007 થી 2012 સુધી ગુજરાત સરકારમાં મંત્રી હતા અને તેમને ભાજપ દ્વારા લાંબા સમય સુધી અલગ રાખવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે તેઓ કઇ પાર્ટીમાં જોડાય છે, કારણ કે થોડા દિવસો પહેલા તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યા છે. એટલું જ નહીં, આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના સંપર્કમાં હોવાની પણ ચર્ચા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ વખતે પણ તે જીતનો દાવો કરતી જોવા મળી રહી છે.
 

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, મેં 32 વર્ષ બીજેપી સાથે ગાળ્યા છે. મને ભાજપ સાથે કોઇ વાંધો નથી. પરંતુ જિલ્લામાં એક તરફી ચાલવાના વલણથી હું નારાજ છું. મેં અગાઉ પણ સીઆર પાટીલને વાત કરી તો તેમણે સમુ સુથરૂ કર્યુ. દર વખતે પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરવી યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ મને કાયમી ફરિયાદી બનાવ્યો છે. આજે હું કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરી નિર્ણય કરીશ. 
 
આ દરમિયાન, કોંગ્રેસે શુક્રવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાનું નામ મુખ્ય છે. પક્ષ દ્વારા બહાર પાડવામાં આવેલી ઉમેદવારોની યાદી મુજબ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોઢવાડિયાને પોરબંદરમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે અકોટાથી ઋત્વિક જોષી, રાવપુરાથી સંજય પટેલ અને ગાંધીધામથી ભરત વી.સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.