1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (18:59 IST)

નવી શિક્ષણનીતિમાં ધો. 6થી 8માં 10 દિવસ ‘બેગલેસ’અભ્યાસ થશે- શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોર

school
નવી શિક્ષણનીતિમાં ધો.6થી 8માં 10 દિવસ બેગલેસ પિરિયડની શરૂઆત કરવાનું નક્કી કરાયું છે. જે મુજબ વિદ્યાર્થીઓ 10 દિવસ બેગ લીધા વગર સ્કૂલે આવશે. આ 10 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃત્તિઓ શિખશે. આ ઉપરાંત બેગલેસ દિવસ દરમિયાન રાષ્ટ્રીય સ્મારકો અને સંગ્રહાયલોની પણ મુલાકાત કરવા માટે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવશે. ગુજરાતમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણનીતિના અમલને લઈને તૈયારીઓ થઈ રહી છે. 

નવી શિક્ષણનીતિમાં ઓછામાં ઓછા 50 ટકા વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણ સાથે જોડવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. નવી શિક્ષણનીતિમાં ધો.6ની શરૂઆતમાં જ વ્યવસાયિક વિષયો ભણાવવામાં આવે તે માટે પણ ઉલ્લેખ કરાયો છે. તેવી જ રીતે ધો.6થી 8ના બાળકોને 10 બેગલેસ દિવસની પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ વ્યવસાયોનું જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ધો.6થી 8 દરમિયાન દરેક વિદ્યાર્થી એક અભ્યાસક્રમ લેશે. જેમાં સુથારકામ, ઈલેક્ટ્રીક વર્ક, મેટલ વર્ક, બાગકામ, માટીકામ વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ 10 દિવસના બેગલેસ સમયગાળામાં વ્યવસાયિક નિષ્ણાંતો જેમ કે સુથાર, માળી, કુંભાર વગેરે સાથે ઈન્ટર્ન કરશે. બેગલેસ દિવસોને સમગ્ર વર્ષ દરમિયાન કળાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત બાળકોને સમયાંતરે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રવાસી મહત્વના સ્થળો-સ્મારકોની મુલાકાત, સ્થાનિક કલાકારો અને કારીગરોને મળવા માટે લઈ જવાશે. શિક્ષકો અને બાળકો સરેરાશ રોજ 6 કલાક સ્કૂલમાં વિતાવે છે. જેને જોતા વર્ષ દરમિયાન 1 હજાર કલાકથી વધુ સ્કૂલમાં વિતાવે છે.આ કાર્યક્રમ માટેની પ્રવૃત્તિઓ માટે શાળાના સમયના 10 દિવસ અથવા તો 60 કલાક ફાળવવા જોઈએ તેવું સુચન નવી શિક્ષણનીતિમાં કરવામાં આવ્યું છે. શાળાના સત્રના પ્રથમ ભાગમાં અને સત્રના બીજા ભાગમાં પાંચ-પાંચ દિવસ આ પ્રવૃત્તિનું આયોજન કરી શકાશે. શાળા પણ તેમની અનુકૂળતા મુજબ આયોજન કરી શકશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને મનોરંજક સ્થિતીમાં વિવિધ પ્રવૃત્તિઓ તરફ ઉજાગર કરવાનો છે. શિક્ષક આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકશે. જોકે, વિદ્યાર્થીને કોઈ ગુણ અથવા ગ્રેડ આપવામાં આવશે નહીં. શિક્ષક આંતરિક મૂલ્યાંકન તથા ગોપનીય મૂલ્યાંકન કરી શકે છે અને વિદ્યાર્થીઓ દ્વાર પ્રાપ્ત કરેલા શિક્ષણનો આંતરિક રેકોર્ડ પણ રાખી શકે છે. 
 
બેગલેસ દિવસે કઈ પ્રવૃત્તિ કરાશે
રાષ્ટ્રીય સ્મારકો, સંગ્રહાલયોની મુલાકાત
શણ બનાવવાનું, વાંસનું કામ, હસ્તકલા
કચરામાંથી શ્રેષ્ઠ
શૈક્ષણિક રમતો
સ્વચ્છતા અને ચોખ્ખાઈ
પર્યાવરણીય પ્રવૃત્તિઓ
સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી
સ્થાનિક કારીગરો સાથે કામગીરી
પ્રોજેક્ટ આધારિત પ્રવૃત્તિઓ
તાલીમ માટે સ્થાનિક ઉદ્યોગોની મુલાકાતટ