શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (08:58 IST)

કેજરીવાલના આગમનના એક દિવસ પહેલાં જ ભાજપથી નારાજ 60 કાર્યકર્તા આપમાં જોડાયા

ગુજરાતમાં 2022 માં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારબાદથી જ રાજકીય ગરમાવો વધી ગયો છે. પાટીદારો દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં પાટીદાર મુખ્યમંત્રીની માંગ અને આપના વખાણના પગલે હાલ ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નરેશ પટેલ દ્વારા સરકારની કોરોના દરમિયાનની કામગીરીની પણ ભારે ટીકા થઇ અને આમ આદમી પાર્ટીનાં વખાણના પગલે રાજકીય હડકંપ આવ્યો છે. 
 
ભાજપથી નારાજ કાર્યકર્તાઓનો આમ આદમી પાર્ટી (આપ)માં જોડવવાનો દૌર યથાવત છે. રવિવારે રાજસ્થાનની મારૂ પ્રજાપતિ સમાજ, સુરતના અધ્યક્ષ વશરામ પ્રજાપતિ તથા ઉપાધ્યક્ષ સંજય પ્રજાપતિ સાથ પરવત પાટિયા અને લિંબાયતના 60થી વધુ કાર્યકર્તા આપમાં સામેલ થયા હતા. મનપાના વિરોધપક્ષના નેતા ધર્મેશ ભંડેરી, શહેરી અધ્યક્ષ મહેંદ્ર નાવડિયાએ નવા કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું. ખાસ વાત એ છે કે અરવિંદ કેજરીવાલ આજે સુરત આવવાના છે.
 
બીજી તરફ 14 મી તારીખે એટલે આજે દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને કહ્યું કે, હું આવતી કાલે ગુજરાત આવી રહ્યો છું. બધા ભાઇ બહેનોને મળીશ. આ ટ્વીટ બાદ ફરી એકવાર રાજકીય સમીકરણો બદલાવાનાં એંધાણ જોવા મળી રહ્યા છે. 
 
સુત્રો અનુસાર કેજરીવાલ સવારે 10.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. અહીંથી તેઓ સીધા શાહિબાગ સર્કિટ હાઉસ જશે. અહીં કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. ત્યાર બાદ કાર્યકરો સાથે બેઠક કરીને પત્રકાર પરિષદનું આયોજન કરી શકે છે. બપોરે નવરંગપુરા ખાતેના આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે. 
 
અરવિંદ કેજરીવાલની આ મુલાકાત દરમિયાન વિધાનસભા માટેની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત આપનું સંગઠન વધારે મજબુત કરવા માટે લોકોને જોડવામા આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાનતી મુલાકાતને પણ સુચક માનવામાં આવી રહ્યું છે.