બુધવાર, 3 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2019 (12:50 IST)

કચ્છના નાના રણમાં ૧૧૦ નદીના પાણીનો સંગ્રહ થશે

Kutch rann storage of water
સૌરાષ્ટ્ર-કચ્છના લોકો અને ખેડૂતોને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રણમાં એશિયાના સૌથી વિશાળ મીઠા પાણીના સરોવરની કલ્પના સાકાર થવાના સંકેતો મળ્યા છે. દિલ્હીમાં આ રણ સરોવર માટે બનાવાયેલી કમીટીએ તૈયાર કરેલા રીપોર્ટના આધારે આગામી દિવસોમાં વોટર રિસોર્સ મીનીસ્ટરી અને પીએમઓ વિભાગ વચ્ચે બેઠક પણ યોજાવામાં આવશે. કચ્છના નાના રણમાં આશરે ૫૦૦૦ ચોરસ કિ.મીનો વેરાન વિસ્તાર સપાટ અને કાળી માટીનું પ્રમાણ વિપુલ માત્રામાં છે. અને ચોમાસા દરમિયાન તો આશરે ૩૦૦૦ ચોરસ કિ.મી. વિસ્તારમાં કુદરતી રીતે જ વરસાદી પાણી ભરાઇ જાય છે. જો સામાખિયાળી પુલના નાળા બંધ કરી દેવામાં આવે તો સમુદ્રના ખારા પાણીને રણમાં આવતા અટકાવી શકાય છે. 
દર વર્ષે ચોમાસા દરમિયાન કચ્છના નાના રણમાં આશરે ૫૦૦૦ ચોરસ કિ.મીનો વેરાન વિસ્તારમાં છેક રાજસ્થાન, પાલનપુર, બનાસકાંઠા, ભાભોર મહેસાણા, સિધ્ધપુર,પાટણ અને શંખેશ્ર્વર સહિતના જિલ્લાઓની બનાસ, રૂપેણ સહિતની નાની મોટી થઇને ૧૧૦ જેટલી નદીઓના મીઠા પાણીનો વેરાન રણ પ્રદેશમાં આઠથી દશ ફૂટ ઊંડાઇમાં પણ જો સંગ્રહ કરવામાં આવે તો રણ સરોવરમાં કુદરતી રીતે આશરે નર્મદા ડેમ જેટલુ પાણી કુદરતી રીતે જ ઉપલબ્ધ થઇ શકે એમ છે. આ પ્રોજેક્ટ પર વિશેષ રસ દાખવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી અલગ-અલગ ૧૮ વિભાગોની એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી દ્વારા કુલ ૧૬ જેટલા મુદાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. 
જે બાદ દિલ્હીના સેન્ટર વોટર કમિશન ખાતે યોજાયેલી મેરોથોન મીટિંગમાં વિવિધ વિભાગોના ડિરેક્ટરો, ચેરમેનો સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ મીટિંગના અંતે એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટને લઇને પ્રિન્સિપાલ સેક્રેટરી વોટર રીસોર્સ અને જળશક્તિ મીનીસ્ટરી તેમજ પીએમઓ ઓફિસ વચ્ચે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાની બેઠક યોજાવાની છે. જેમાં રણમાં મીઠા સરોવરનો નિર્ણય લેવામાં આવશે.