1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 ઑક્ટોબર 2019 (12:42 IST)

દિવાળીના તહેવારમાં અમદાવાદમાં આ ડોક્ટરો તમારી સેવામાં હાજર રહેશે

સામાન્ય રીતે દિવાળીના વેકેશનમાં તબીબો વેકેશન માણવા જતા હોય છે. પરંતુ અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફેમિલિ ફિઝિશિયન એસોસિએશન દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ફરજ પર હાજર રહેવાનો નિર્ણય કર્યો છે. જે માટે 108 ઈમરજન્સી સેવા સાથે પણ સંકલન કરી શહેરીજનોને સારવારમાં તકલીફ ન પડે તે હેતુથી આ નિર્ણય કરાયો છે. એટલું જ નહીં સોશિયલ મિડિયાના માધ્યમથી પણ શહેરીજનોને સારવાર માટે મદદ થઈ શકે તેવું પણ આયોજન કરાયું છે. અમદાવાદ સહિત રાજ્યભરમા રોગચાળો બેકાબૂ બન્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગચાળો તેમજ ઝાડા ઉલ્ટી, ક્મળો, ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઓક્ટોબર માસના માત્ર 19 દિવસમાં રોગચાળાનો આંક 1667 પર પહોંચ્યો છે, ત્યારે દિવાળીના વેકેશન માટે અમદાવાદના તબીબો દ્વારા ખાસ સેવાનું આયોજન કરાયું છે. દિવાળીના તહેવારમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો તેમજ અમદાવાદ ફેમિલી ફિઝિશિયનના તબીબો વેકેશન માણવા પ્રવાસે નહી જાય. આ તબીબો શહેરમાં રહીને ડેન્ગ્યૂ, મેલેરિયા સહિત રોગચાળા તેમજ દિવાળી દરમિયાન બનતી આગ અકસ્માતની ઘટનાઓને લઈને ફરજ પર હાજર રહશે.આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. મોના દેસાઈએ જણાવ્યું કે દિવાળીના તહેવાર દરમિયાન ડોક્ટરો હાજર નહીં હોવાના કારણે દર્દીઓને ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જેથી દર્દીઓને અગવડતા ન પડે અને સમાજને મદદરુપ થવાના હેતુથી આ સેવા કાર્યરત કરી છે. છેલ્લા 9 વર્ષથી ડોક્ટર ઑન કૉલ સેવા કાર્યરત છે.