શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 માર્ચ 2019 (13:06 IST)

નીતિન ભાઈ ક્યારેય મહેસાણાથી લોકસભાની ચૂંટણી નહીં લડેઃ મુખ્યપ્રધાન રુપાણી

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ છે. આજે હજારો કાર્યકર્તા રોડ શો દ્વારા ફોર્મ ભરવા જશે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં આજે નામાંકન ભરવાના છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. તેમણે મીડિયા સાથે વાત કરતા ભાજપનો જંગી બહુમત સાથે વિજય થવાના અંધાણ પણ આપ્યા હતા. સાથે સાથે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલની મહેસાણા બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડવાની વાતને પણ નકારી કાઢી હતી.

નીતિનભાઇ પટેલને મહેસાણા બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડવા અંગેના પ્રશ્ન ઉપર રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વાતમાં કોઇ દમ નથી. નીતિનભાઇ મહેસાણાથી ચૂંટણી લડે એવી કોઇજ વાત નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અમિત શાહની ગાંધીનગરમાં ઉમેદવારી આખા ગુજરાતમાં નવી પ્રણાલી ઊભી કરી છે. ગુજરાતની 26 બેઠકો ઉપર મોટી અસર છે. અને ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી 26 બેઠકો ઉપર જીતશે તેવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. ચૂંટણીના દિવસોમાં જ્યારે ઉમેદવારી પત્ર ભરાતું હોય. મોટી તાકાત સાથે જો ઉમેદવારી પત્ર ભરવામાં પણ આટલો બધો ઉત્સાહ જોવા મળતો હોય તો. આગળ શું થશે એ કોંગ્રેસે વિચારવું પડશે. પહેલા દિવસે આટલો ઉત્સાહ એજ દેખાડે છે કે લોકો નક્કી કરીને બેઠા છે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે દેશની જનતા થનગની રહી છે. મોદી કે શાહ વચ્ચેની લીડ અંગે પૂછાયેલા પ્રશ્ન અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતે રેકોર્ડો તૂટવાના છે. ગાંધીનગરમાં ઉત્સાહ છે તો વારાણસીમાં પણ લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે હેલ્થી કોમ્પિટિશન થવા જઇ રહી છે.