શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 મે 2018 (14:33 IST)

સવર્ણોને જીપીએસસીની પરીક્ષામાં બેસવાની વયમર્યાદા વધારવા બિન અનામત આયોગની રૂપાણી સરકારને ભલામણ

ગુજરાત સરકાર દ્વારા સવર્ણો માટે રચવામાં આવેલા બિન અનામત આયોગે અનામતનો લાભ ન મેળવતા ઉમેદવારો માટે જીપીએસસીની પરીક્ષામાં બેસવાની મહત્તમ વય મર્યાદા વધારવામાં  આવે તેવી સરકારને ભલામણ કરી છે. હાલ સવર્ણ વર્ગના ઉમેદવાર 35 વર્ષની વય સુધી જીપીએસસીની પરીક્ષા આપી શકે છે. પાટીદાર આંદોલન પછી રચાયેલા આયોગે  પોતાનો પહેલો   રિપોર્ટ સરકારને સોંપ્યો છે, જેમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. આયોગે સરકારને એવી પણ ભલામણ કરી છે કે, એસસી-એસટી તેમજ ઓબીસી સ્ટૂડન્ટ્સ માટે બનાવવામાં આવેલી સમરસ હોસ્ટેલોમાં જો જગ્યા ખાલી હોય તો  તેમાં સવર્ણ વિદ્યાર્થીઓને પણ રહેવા દેવામાં આવે.

આ આયોગના ચેરપર્સન હંસરાજ ગજેરાના જણાવ્યા અનુસાર, સીએમ વિજય રુપાણીને રિપોર્ટ સોંપાયો છે, જેમાં અનામતનો લાભ ન મેળવતા સવર્ણ યુવાવર્ગના કલ્યાણ માટે કેટલીક નીતિગત ભલામણ કરવામાં આવી છે. આ ભલામણો પર શું નિર્ણય લેવો તે સરકારે નક્કી કરવાનું છે. ગજેરાએ એમ પણ કહ્યું હતું કે, બે વર્ગો વચ્ચે  મનદુ:ખ કે પછી મતભેદ ઉભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વિવિધ રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ ભલામણો  કરાઈ છે. જેમ કે, એમપીમાં બિન અનામત વર્ગના યુવકો પણ 40 વર્ષની વય સુધી સરકારી નોકરી મેળવી શકે છે, જ્યારે આપણે ત્યાં તે મર્યાદા 35 વર્ષની છે. અનામતની માંગ સાથે આંદોલન શરુ કરનારા પાટીદારો સાથે સરકારે કરેલી વાતચીતમાં સવર્ણો માટે અલગ આયોગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા મહિને જ ગાંધીનગરમાં સીએમ વિજય રુપાણીએ ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સરકારે બિન અનામત વર્ગ માટે નિગમ પણ બનાવ્યું છે, અને તેને 500 કરોડનું ફંડ અપાયું છે. આ નિગમ પણ ટૂંક જ સમયમાં પોતાનો રિપોર્ટ સોંપશે.