ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 ડિસેમ્બર 2018 (15:43 IST)

પાવાગઢ પ્રોજેક્ટ કૌભાંડમાં અનેક મોટા માથાની સંડોવણી હોવાની શક્યતા

જૂનાગઢના એક પ્રોજેક્ટના મુદ્દે પૂર્વ સચિવ અને આરટીઆઈ એક્ટીવિસ્ટ વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેની સાથે ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ટુરિઝમ વિભાગના ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી રહી છે. એક પ્રોજેક્ટ વિશે આરટીઆઈ એક્ટિવિસ્ટ કિશોર નથવાણીએ પૂર્વ સચિવ અનિલ પટેલ સાથે વાત કરી હતી. આ બંનેની વાતચિતના અંશોની ક્લિપ વાયરલ થઈ છે.ઓડિયો ક્લીપમાં એવો ખુલાસો કરાયો છે કે, તેઓ જ્યારે સચિવ હતા તે વેળાએ પાવાગઢ પ્રોજેક્ટની રકમ 78 કરોડ નક્કી થઇ હતી પણ અચાનક તેઓની બદલી બાદ પ્રોજેક્ટની રકમ વધારી સવાસો કરોડ કરી દેવાઇ હતી. આ કથિત અવાજ પૂર્વ સચિવનો છે તેની પુષ્ટિ સત્તાવાર થઇ નથી પણ આ ઓડિયો ક્લીપની વાતચીતથી બોર્ડના વહીવટ ઉપર પ્રશ્નો ખડા થઇ રહ્યાં છે.
આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ કિશોર નથવાણીનું કહેવું છે કે પાવાગઢ યાત્રાધામના ટ્રસ્ટી પરેશ પટેલના પિતા કિસ્મતરાય પટેલના નામથી કોન્ટ્રાકટ લેવામાં આવ્યો છે. આ પૂર્વઆયોજિત કાવતરું રચવામાં આવ્યું છે. એસીબીના વડા કેશવકુમારને બે દિવસ પહેલા લેખિતમાં જાણ કરવામાં આવી. આર એન બી સ્ટેટ પંચમહાલ ગોધરાના કાર્યપાલક ઇજનેર નિખિલ ભટ્ટની સંડોવણી પણ બહાર આવી છે.જ્યારે આ વિવાદમાં યાત્રાધામ પ્રધાન દિલીપ ઠાકોરે ખુલાસો કરતા કહ્યું છે કે, 'આ કામ માટે 52 કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. બાકી લોકફાળામાંથી ફંડ એકત્રીત કરવામાં આવશે. આ બધા આક્ષેપો પર તપાસ કરવામાં આવશે.
'આ ઓડિયો ક્લીપ હાલમાં સરકારના એક બોર્ડમાં સચિવ તરીકે ફરજ બજાવતાં અધિકારીના નામે સોશિયલ મીડિયામાં ફરી રહી છે જેની સાથે ટૂંકુ લખાણ પણ છે જોકે, આ બંને તરફથી થતાં સંવાદમાં આરટીઆઇ એક્ટીવીસ્ટ તરીકે પોતાની ઓળખાણ આપી એક વ્યક્તિ પૂર્વ સચિનને ફરિયાદ કરે છે કે, પાવાગઢના સવાસો કરોડના પ્રોજેક્ટમાં હલકી ગુણવત્તાનું કામ ચાલી રહ્યું છે જેથી તેઓએ પગલાં લેવા જોઇએ તેવામાં સચિવ પોતાની બે વર્ષ પહેલાં બદલી થઇ ગઇ હોવાનું રટણ કરે છે પછી ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની પોલ ખોલી રહ્યાં છે.
 તેઓ એવું કહે છે કે, તેમના કાર્યકાળ વખતે પાવાગઢ ખાતે 200 કરોડનો પ્રોજેક્ટ લઇને આવ્યા હતા પણ એ વેળાએ સુધારા કરી તેઓએ માત્ર પ્રોજેક્ટ 78 કરોડનો કર્યો હતો જોકે, તેમની બદલી થયા બાદ અચાનક આ પ્રોજેક્ટની કિંમત વધી સવાસો કરોડ થઇ ગઇ હતી. તેઓ એવી લાચારી વ્યક્ત કરે છે કે, આ 78 કરોડનો પ્રોજેક્ટ સવાસો કરોડે કેવી રીતે પહોંચી ગયો તે સમજાતુ નથી. ઉપરાંત તેઓ વારંવાર ટુરિઝમ વિભાગ અને પવિત્ર યાત્રાધામ બોર્ડમાં બધાં જ ભ્રષ્ટાચારી હોવાથી તેઓ ફરિયાદ સીધી મીડિયામાં કરે તેવી સલાહ આરટીઆઇ એક્ટીવીસ્ટને આપે છે.