1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 માર્ચ 2022 (13:00 IST)

રાજકોટની મહિલા ડોક્ટરે વાંકાનેરમાં ગળાફાંસો ખાધો,10 વર્ષ સાસરિયાએ સખત ત્રાસ આપ્યો

રાજકોટ માવતર ધરાવતી અને હોમિયોપેથી તબીબ જાનકી વોરાએ ગઇકાલે વાકાનેરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આથી પોલીસે તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. અહીં જાનકીની માતા લતાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.

માતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી દીકરીને સાસરિયાઓએ 10 વર્ષ સુધી સખત ત્રાસ આપ્યો, તેનો દિયર બેફામ ગાળો ભાંડતો હતો. ઘટનાને પગલે ડોક્ટર પિતાને સાંત્વના પાઠવવા ડોક્ટર મિત્રો સિવિલ હોસ્પિટલ ઉમટી પડ્યા હતા.વાંકાનેરમાં રહેતા જાનકી રજનીકભાઈ વોરાએ ગઈકાલે પોતાના ઘરે જ દુપટ્ટા વડે ફાંસો ખાઈ લેતા તેઓને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં જાનકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા સિવિલ હોસ્પિટલમાં જાનકીના મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો.

જાનકીના મૃત્યુના સમાચાર સાંભળી પોસ્ટમોર્ટમ રૂમે પરિવારજનો અને તબીબો દોડી આવ્યા હતા.મૃતક જાનકીના લગ્નને 10 વર્ષ થયાં છે. તેને સંતાનમાં એક પાંચ વર્ષની દીકરી છે. તેનો પતિ રજનીક સુરેશભાઈ વોરા વાંકાનેરની પીરમસાયક હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ છે. તેમજ જાનકીએ હોમિયોપેથિક તબીબનો અભ્યાસ કર્યો છે. તે હાલ ઘરકામ કરતી હતી. જાનકીના પિતા મનસુખભાઈ રામજીભાઈ ઘોરવાડિયા રાજકોટની યસ હોસ્પિટલમાં એનેસ્થેશિયા વિભાગમાં તબીબ છે.મૃતકના માતા-પિતાએ આક્ષેપ કર્યો છે કે, જાનકીના પતિ, સાસુ, સસરા, દિયર, કાકાજી, કાકીજી સહિતે ખૂબ ત્રાસ આપ્યો છે. સાસરિયાવાળાઓને સમજાવીએ તો તેઓ છૂટાછેડા આપવાનું દબાણ કરતા હતા. મારી દીકરી આબરૂ જવાના ડરે અને હમણા બધું સારું થઈ જશે તેમ વિચારીને મૂંગા મોઢે સહન કરતી હતી.