શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 ઑક્ટોબર 2022 (13:56 IST)

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહની ભાજપમાંથી ફરીવાર કોંગ્રેસમાં ઘરવાપસી

vaghela
ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની આજે કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. આજે તેઓ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ચૂંટણી લડવા વિશે જણાવ્યું હતું કે, ચૂંટણી લડવી કે નહીં તે અંગે પ્રદેશ કમિટી નક્કી કરશે.

કોંગ્રેસમાં જોડાતા જ મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, નફરતની રાજનીતિ ખતમ કરવા સૌએ સાથે મળીને કામ કરવું પડશે. ત્યારે મેં જગદીશભાઈ સામે પ્રસ્તાવ મૂક્યો કે મારે ફરીથી કોંગ્રેસમાં કામ કરવું છે. અમે લગભગ 15 વર્ષ સાથે કામ કર્યું છે. આગામી સમયમાં મારી ભૂમિકા જગદીશભાઈ અને ગુજરાતની ટીમ કહેશે એ રીતે હું કામ કરીશ. મારે ચૂંટણી લડવી કે નહીં તે અંગે પ્રદેશ કમિટી નક્કી કરશે. હું ભાજપમાં જોડાયો પછી એકપણ દિવસ કોઈ કાર્યક્રમમાં ગયો હોય તો બતાવો, પ્રદેશ ઓફિસ ગયો હોય તો બતાવો. મારું મન અહીંયા હતું, મારું મન ન માન્યું કે મારે ભાજપમાં વધારે કામ કરવું જોઈએ એટલે તરત જ મેં છોડી દીધું.

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ બાદ રાજ્યસભાની ચૂંટણી સમયે જ તેમણે ભાજપમાંથી રાજીનામું ધરી દીધું હતું અને રાજકારણમાં નિષ્ક્રિય થઈ ગયા હતા. હવે વિધાનસભા ચૂંટણી પહેલા જ તેઓ ફરી રાજનીતિમાં સક્રિય થતા કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે.