શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 મે 2023 (16:03 IST)

ગુજરાતના જૈન મંદિરમાં મહાવીર સ્વામીના કપાળે દેખાયું સૂર્યતિલક

forehead of Mahavir Swami
ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળિય ઘટના જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં વર્ષમાં એકવાર થતી ખગોળિય ઘટનામાં સૂર્યના કિરણો બપોરે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર તિલક કરતાં હોય તેવું દ્રશ્ય સર્જાયુ હતું. જિનાલય પ્રશાસન દ્વારા ભક્તોને આ ઘટના નિહાળવા વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. અહીં જૈનોના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીરસ્વામીની શ્વેત આરસની પદ્માસન મુદ્રાની 41 ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ છે.

22મેના રોજ બપોરે 2 વાગીને 7 મિનીટે અહીં ભક્તો ભાવપૂર્વક મહાવીર પ્રતિમાને વંદન કરીને ‘ત્રિશલાનંદન વીર કી.. જય બોલો મહાવીર કી...’ ગાન કરતાં હતા. ત્યારે અચાનક ગર્ભગૃહમાં મહાવીરસ્વામીના લલાટ પર સૂર્યકિરણો પથરાતાં દેરાસર ઘંટારવથી ગાજી ઊઠ્યું હતું. સ્વયં સૂર્યદેવ મહાવીરસ્વામી પ્રભુની પ્રતિમા પર તિલક કરતાં હોય એવું એક અલૌકિક દ્રશ્ય રચાયું હતું. જે સુર્યતિલક તરીકે ઓળખાય છે. આ અદભુત સૂર્યતિલકની ઘટના ગુરુસ્મૃતિ અને ગુરુભક્તિનું અજોડ પ્રતીક બની છે. જોકે આ કોઈ ચમત્કાર નહીં પરંતુ સાયન્ટિફિક યોગ છે. કૈલાશ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની યાદમાં શિષ્યએ જૈન આરાધના કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં આજના દિવસે બપોરે 2 વાગીને 7 મિનિટે ભગવાન મહાવીર સ્વામીના લલાટ પર સૂર્ય તિલક થાય છે.છેલ્લાં 33 વર્ષથી અદભૂત સુર્યતિલક કોબાના જૈન મંદિરમાં 22 મેના દિવસે જોવા મળે છે. પહેલીવાર 1987ના વર્ષે આ ઘટના બની હતી. તેના બાદ દર વર્ષે 22 મેના રોજ બપોરે 2 વાગીને 7 મિનીટે મહાવીર સ્વામીના ભાલ પર સૂર્યતિલક દેખાય છે. 3થી 4 મિનીટ સુધી ભક્તોને આ નજારો માણવા મળે છે, જે જોઈને તેઓ ધન્યતા અનુભવે છે. અહીં ઘણીવાર એવા ચમત્કાર પણ સર્જાયા છે, વાદળો ઘેરાયા હોય, તો પણ આ સમયે સૂર્ય દેખાઈને સૂર્યતિલક સર્જાય છે.