રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (10:33 IST)

Vijay Suwada- વિજય સુવાળાએ આપ કેમ છોડી?

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હાથે ભગવો ખેસ પહેરીને ભાજપમાં જોડાઈ ગયા છે.
 
વિજય સુવાળાએ માત્ર ચાર મહિનામાં આમ આદમી પાર્ટી છોડી દીધી છે. વિજય સુવાળા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં નિષ્ક્રિય થઈ ગયાના સ્થામિક મીડિયાના અહેવાલો હતા.
 
આમ આમદી પાર્ટી કેમ છોડી અને ભાજપમાં કેમ સામેલ થયાં એ અંગે વાત કરતાં વિજય સુવાળાએ એક સ્થાનિક ટીવી ચેનલને જણાવ્યું :
 
"મારા અંગત મિત્રોથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. કદાચ મારી ઉંમર નાની છે એટલે એમ સમજો કે રાતનો ભૂલો પડેલો દિવસે ઘરે આવ્યો છું."
 
જોકે, આમ આદમી પાર્ટી સાથે જોડાવાના નિર્ણયને પણ તેમણે સભાનતાપૂર્વકનો ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું, "મેં જે સમયે જે નિર્ણય લીધો હતો તે સમયે તે યોગ્ય જ હતો. મેં ભૂતકાળમાં જે નિર્ણય લીધો તે સભાનતામાં જ લીધો હતો."
 
પોતાની સાથે 5000 જેટલા કાર્યકર્તાઓ, સમર્થકો હોવાનો દાવો કરતાં વિજય સુવાળાએ કહ્યું હતું, "મેં રાજીનામાનો નિર્ણય લીધો ત્યારે 2000 કાર્યકર્તાઓએ મને કહ્યું હતું કે ભુવાજી, અમે પણ તમારી સાથે જ રાજીનામું આપીએ છીએ."
 
"જોકે મેં તેમને કહ્યું હતું કે હું રાજીનામું આપું તેથી તમારે રાજીનામું આપવું એવું જરૂરી નથી. પરંતુ તેઓ મારા ચાહક, મિત્રો છે એટલે મારી જોડે જ રહેશે. ઉપરાંત અમારૂં 2000 યુવાનોનું ગ્રૂપ છે."
 
"કોરોનાની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને 150 કરતાં વધુ સમર્થકોને સાથે લઈને ભાજપમાં જોડાવા માટે જઈ શકતો નથી, નહીં તો આજે મોટું શક્તિપ્રદર્શન પણ થઈ જાત."
 
તમેણે ઉમેર્યું હતું, "મારી સાથે લોકસેવકો અને કાર્યકર્તાઓ વગેરે બધા થઈને પાંચ હજાર લોકો છે."