1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , શનિવાર, 14 મે 2022 (18:14 IST)

કચ્છી માડુઓ માટે પાણીદાર નિર્ણય, દૂધઈ પેટા શાખા નહેરનું વધુ 45 કિ.મી. વિસ્તરણ

cm bhupendra
કચ્છને રાજ્ય સરકાર તરફથી વધુ એક ભેટ મળવા જઈ રહી છે. દૂધઈ પેટા શાખા નહેરનું વધુ 45 કિ.મી. વિસ્તરણ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ભૂજ-અંજારના લોકોની વર્ષો જૂની માંગને લઈને  CM ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. આ વિસ્તારના પાણીની સમસ્યા નિવારવા કચ્છની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. સુધી વિસ્તરણ કરવા અંગેની ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે. જેને પગલે વિસ્તારવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. રૂપિયા 1550 કરોડના અંદાજિત ખર્ચે આ કામગીરી હાથ ધરી અંજાર અને ભૂજ તાલુકાના વધુ 13,175 એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેનાલ શાખા નહેરનું દૂધઈથી કુનારિયા સુધી એટલે કે વધુ 45 કિલોમીટર વિસ્તરણ થવાના પરિણામે અંજાર તેમજ ભૂજ તાલુકાના ખેડૂતો અને લોકોની માંગણીનો સુખદ અંત આવશે. હાલમાં દૂધઈ પેટા શાખા નહેરના ભચાઉથી દૂધઈ સુધીના 23.025 કિલોમીટર લંબાઈના કામો તથા તેના વિસ્તરણ માળખાના કામો પૂર્ણ થઈ ગયા છે. હવે, આ નહેરને ભુજ તાલુકાના કુનારિયા સુધી લંબાવાતા અંજાર તેમજ ભુજ તાલુકાના વધારાના 13,175 એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ મળતાં થશે તેમજ પશુધનને પીવાના પાણી તથા ઘાસચારાની સમસ્યા દૂર થશે.