શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. પુનરવલોકન-07
Written By વેબ દુનિયા|

2007નો મોદીનો ભવ્ય શપથવિધિ સમારોહ

ગુજરાતમાં હેટ્રીક મુખ્યમંત્રીના પદે બેસનાર નરેન્દ્ર મોદી

W.DW.D

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતભરમાંથી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિમમાં ઉમટી પડેલા કાર્યકરોના મહેરાણની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ બારમી વિધાનસભાના 24માં મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લઇ સતત ત્રીજી વખત આ પદ સંભાળવાની હેટ્રિક નોંધાવી હતી. રાજયપાલ નવલ કિશોર શર્માએ તેમને બપોરે 1.47 કલાકે આ શપથ લેવડાવ્યા ત્યારે દેશભરમાંથી આવેલા ભાજપ અને એનડીએના ઘટક પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત રહી ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન 25મી ડિસેમ્બરના રોજ ભાજપે(નરેન્દ્ર મોદીએ) ગુજરાતમાં 117 ધારાસભ્યો સાથેની સ્પષ્ટ બહુમતિવાળી સરકારને તેમના ચરણોમાં રજૂ કરી હતી.

ભાજપના કાર્યકરો અને ગુજરાતની જનતાના મહેરામણથી છલકાતા સ્ટેડિયમમાં બરાબર બપોરે 1.47 મીનીટે રાજયપાલ નવલ કિશોર શર્મા આવી પહોંરયા બાદ તુરત જ મુખ્યસચિવ ડો.મંજુલા સુબ્રમણ્યમે પદ્મામિત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની શપથવિધિ યોજવા માટેની અનુમતિ માગી હતી. રાજયપાલે અનુમતિ આપતાં જ શપથવિધિ સમારંભ શરૂ થયો હતો. મોદીએ ઇશ્વરના નામે ગુજરાતીમાં જ શપથ લીધા હતા.

આ પછી શપથવિધિ સમારંભ સંપન્ન થયો હતો. રાજયપાલના આગમન સાથે જ રાષ્ટ્રગીતનુ ગાન થયું હતું. શપથવિધિ સંપન્ન થયા બાદ ફરીથી ગાન થયું હતું. રાજયપાલે મોદીની સાથે આ પછી ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, રાષ્ટ્રીય અઘ્યક્ષ રાજનાથસિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભેરૌંસિંહ શેખાવત સહિત મંચસ્થ મહાનુભાવોની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રાજયપાલની મંચ પરથી વિદાય બાદ મોદીએ સમગ્ર સ્ટેડિયમમાં ખુલ્લી જીપમાં ફરીને સૌનુ અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે રાજનાથસિંહ, અડવાણી, પ્રભારી ઓમ માથુર, અરુણ જેટલી અને પ્રદેશ પ્રમુખ પરષોત્તમ રૂપાલા પણ જોડાયા હતા. બપોરે દોઢ વાગ્યાના સુમારે પદ્મામિત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનુ સ્ટેડિયમ પર આગમન થયુ હતું. ત્યારે આખુ સ્ટેડિયમ હર્ષોલ્લાસની ખુશીમાં ચીચીયારી પાડી ઊઠયું હતું. કાર્યકરોએ ફટાકડા ફોડીને ખુશી વ્યકત કરી હતી.
NDN.D

મોદીએ આવીને તુરત જ સંતો મહંતોના આર્શિવાદ લીધા હતા. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના ખાસ ગણાતા અવિચલદાસ મહારાજના અને સ્વામિનારાયણ ધર્મમાં અક્ષરધામ નામની સંસ્થાના વડા પ્રમુખ સ્વામીના પણ આર્શિવાદ લીધા હતા. આ ઉપરાંત તેમણે અડવાણીના ચરણ સ્પર્શ કરી આર્શિવાદ લીધા હતા. રાજનાથે તેમને ભેટીને અભિનંદન આપ્યા હતા.

તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભાની 182 બેઠકો માટેની ચૂંટણીમાં એકલા હાથે તમામ અપપ્રચારોના વાવાઝોડાનો સામનો કરીને ભાજપને 117 બેઠકો અપનાવનાર નરેન્દ્ર મોદીની તાજપોશી નિહાળવા માટે સવારથી જ રાજયભરમાંથી કાર્યકરો જુદા જુદા વાહનોમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા.

સમગ્ર સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પક્ષના વિજયના ઉન્માદ્માં મસ્ત બનીને આવેલા કાર્યકરો ઢોલ, નગારા અને ત્રાંસા લઇને નાચગાન કરતાં અને ગુલાલ ઉડાડીને પોતાની ખુશી વ્યકત કરતાં હતા. આહવાથી લઇને મુન્દ્રા સુધી અને દ્વારકાથી લઇને દસાડા સુધીના કાર્યકરો અહીં આવ્યા હતા. શપથવિધિના સમયે સમગ્ર સ્ટેડિયમ કેસરિયા ખેસથી ઉભરાઇ ગયું હતું. વિશાળ મંચની જમણી બાજુના મંચ પર દેશભરમાંથી આવેલા વીવીઆઇપી મહેમાનોને બેસવાની તેમજ ડાબી બાજુ સંતમહંતો માટે બેઠક વ્યવસ્થા રખાઇ હતી.

શપથવિધિના સાક્ષીઓ :
મોદીના ભવ્ય શપથવિધિ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભેરૌંસિંહ શેખાવત, ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાજનાથસિંહ, લોકસભામાં વિપક્ષી નેતા એલ.કે. અડવાણી, અરુણ જેટલી, ઓમ માથુર, વેંકૈયા નાયડુ, મુરલી મનોહર જોષી, મનોહર જોશી, ગોપીનાથ મુંડે, રાજસ્થાનના મુખ્યમંત્રી વશુંધરા રાજે, મઘ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તરાખંડના બી.સી. ખંડુરી, છત્તીસગઠના રમણકુમાર, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, સ્મૃતિ ઇરાની, નવજયોતસિંહ સિઘ્ધુ, મુકેશ ખન્ના વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જયારે સંત મહંતોમાં સ્વામી સત્યમિત્રાનંદ ગીરીજી, રામેશ્વરદાસજી, અવિચલદાસ મહારાજ, નાનકદાસજી, માધવ પ્રિયદાસ, આઘ્યાત્માનંદ, ભારતી બાપુ, ગણેશાનંદ મહારાજ ઉપરાંત સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો પણ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મોદી અને રૂપાલા ઉપરાંત રાજનાથસિંહે પણ સંતો મહંતોના આર્શિવાદ લીધા હતા. 'જીત ગયા ગુજરાત - જીતેગા ગુજરાત' ના જયઘોષ કરીને સ્ટેડિયમને ગુંજતું કરી દીધું હતું.