વાસ્તુશાસ્ત્ર તોડફોડ વગર, નજીવા ફેરફારથી વાસ્તુ યોગ્ય ઘર બનાવી શકાય
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર કેવું હોવું જોઇએ તે બાબતે સમાજમાં વિવિધ પ્રકારની સમજણો અથવા ગેરસમજણો પ્રવર્તેલી છે. પરંતુ વાસ્તુશાસ્ત્રના પાયામાં કયા આધાર છે તે જાણવું અને તેમાં કામ કરી રહેલું વિજ્ઞાન પણ જાણવું એટલુંજ અગત્યનું છે. છેલ્લા કેટલાંય વર્ષોથી વાસ્તુ અને વિજ્ઞાનની આ બાબતનો ગહન અભ્યાસ અને રીસર્ચ કરી રહેલાં પ્રભાત પોદ્દાર શહેરની મુલાકાતે આવ્યા હતાં. આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેઓ વિવિધ દેશોમાં પોતાના જ્ઞાન અને અભ્યાસને આધારે વાસ્તુશાસ્ત્રના વક્તવ્યો અને શિબીરો યોજી છે. ખાસ મુલાકાતમાં તેમણે વાસ્તુશાસ્ત્ર વિશે પ્રવર્તમાન કેટલીક અંધશ્રધ્ધાઓ, સત્યો અને જનસામાન્યના ઘરોમાં જોવા મળતી સામાન્ય ભુલો વિશે વાત કરી હતી. પોંડીચેરીના અરવિદ આશ્રમમાં રહીને વાસ્તુશાસ્ત્ર પર જ ગહન અભ્યાસ કરતા તેમણે શાસ્ત્ર વિશે જણાવ્યુ હતું કે 'પોતે જે વિષય બાબતે જાણવું કે કાર્ય કરવું હોય તે બાબતનો તલસ્પર્શી અભ્યાસ પોતે જ કરવો પડશે. માટે જ વાસ્તુ સાથે ભુગોળ, વિજ્ઞાન અને શરીર કેવી રીતે જોડાયેલું છે, તમારા ઘરમાં તે કેવી રીતે અને કેવી અસરો પાડે છે ઉપરાંત શરીર સાથે વાસ્તુ અને બ્રહ્માંડ કેવી રીતે જોડાયેલું છે તે બાબતનો અભ્યાસ મેં શરુ કર્યો છે. પહેલાના સમયમાં ઋષીમુનીઓ પાસે કોઇ ઉપકરણો ન્હોતાં માટે તેઓ વિજ્ઞાાન અને ભુગોળ જેવા વિષયો સાથે પોતાના શરીરને જ સમજતાં. એજ રીતે આપણે શોધવાનું છે કે ઋષિમુનીઓએ શરીર સાથે બ્રહ્માંડને સરખાવી શું શોધ્યું.' વાસ્તુને નામે આજે ઘણું ઉંધુ છત્તું થઇ રહ્યું છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે 'જાણે-અજાણે બનાવાયેલા ઘરના આર્કીટેક્ચર એવા પ્રકારના હોય છે કે વાસ્તુ પ્રમાણે લોકોને તકલીફ ઉભી થાય. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એ પ્રકારની પ્રક્રિયાઓ છે જેના ઉપયોગથી નાના અને મોટા તમામ વર્ગોને પોષાય તેવી રીતે નજીવા ફેરફાર અને ખર્ચ દ્વારા બીલકુલ તોડફોડ વગર ઘરની તકલીફ દુર થાય. પરંતુ ઘર બનાવતાં આર્કિંટેક્ટ દ્વારા જ જો વાસ્તુના સાચા જ્ઞાનને આધારે વસ્તુ અને જગ્યાઓનું સાચું પ્લેસમેન્ટ થાય તો લોકો તકલીફમાં નહીં આવે. કારણ કે કયા ફોર્મમાં, પ્રપોર્શનમાં, મટીરીયલ્સથી અને કયા ઓરીએન્ટેશન દ્વારા ઘર બનેલું છે તે ખુબ મહત્વનું છે. ઉપરાંત આજના સમયમાં વાસ્તુશાસ્ત્રનો ડોળ કરનારા પણ ઘણાં છે. જેને કારણે લોકો છેતરાય છે. પરંતુ આર્કિંટેક્ટને જ વાસ્તુનું પાયા માત્રનું જ જ્ઞાન હોય તો લોકો છેતરાશે નહીં. જે અઘરું નથી. કારણ કે વાસ્તુને સમજવા મુખ્ય ત્રણ પાસાઓને સમજવા જરુરી છે. ઘટ એટલે કે પોતાને, ગૃહ ને અને મહા એટલે કે બ્રહ્માંડ અને બ્રહ્મને.'આજના સમય અને જુના સમયમાં ઘરો અને વાસ્તુનો સબંધ કયા પ્રકારનો હતો અને તેમાં કઇ બાબતો આજે ગેરહાજર હોવાને કારણે લોકોને તકલીફ થાય છે તે અંગે જણાવ્યુ હતું કે 'પહેલાં બાથરુમ ઘરની બહાર હતાં હવે તે ઘરમાં જ હોય છે. જે યોગ્ય નથી છતાં તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો ચાલે. રસોડુ પણ અગ્નિ ખુણાને છોડી અન્ય ખુણામાં હોય તે યોગ્ય નથી. પહેલાં દરેક દરવાજાના બે ફાટા હતાં જે હવે એક થઇ દરવાજો બની ગયો. શરીર સાથે તેને સાંકળો તો શરીરના બે ફાંટા પડે તો ન ચાલે તેમ દરવાજામાં પણ છે.ઘરના દાદરા સીધા અને ગેપ વગરના હોય તો યોગ્ય છે. જ્યારે આજના સમયમાં વળાંક વાળા દાદરા બને છે પરંતુ તેનો વળાંક ક્લોકવાઇઝ નથી હોતો માટે તે તકલીફ કરે છે જેનું ધ્યાન રાખવું જરુરી છે. ઘરમાં ઉમરા હોતા નથી જે ઘરમાં એનર્જી આવે અને તેનું સર્ક્યુલેશન થાય તે માટે જરુરી છે. આ તમામ પરિબળોમાં જે એનર્જી કુદરત તરફથી આવતી હોય છે તેનું પરાવર્તન થઇ જાય છે માટે ઘરને અને તેમાં રહેતા વ્યક્તિઓને તે એનર્જી મળતી નથી જેથી તકલીફો થાય છે.'