મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 28 ઑક્ટોબર 2023 (00:32 IST)

Chandra Grahan ચંદ્રગ્રહણ એટલે શું? ગ્રહણ અંગેની ગેરમાન્યતાઓ

Chandra Grahan ચંદ્રગ્રહણ એટલે શું? ચંદ્રગ્રહણને જોવા માટે કોઈ ખાસ સાવધાની રાખવાની જરૂર હોતી નથી. ચંદ્રગ્રહણ જોવું સમગ્રપણે સુરક્ષિત માનવામાં આવે છે. તમે આ નજારો નરી આંખે પણ નિહાળી શકો છો.
 
જો ચંદ્રગ્રહણ જોવા માટે ટેલિસ્કોપની વ્યવસ્થા થઈ શકે તો ચંદ્રગ્રહણનું આ દૃશ્ય તમારા જીવનનો એક આહ્લાદક અનુભવ સાબિત થઈ શકે છે.
 
આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે.
 
તે તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે.
 
તેમાં એવું થાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.
 
ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.
 
ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.
 
ગ્રહણ અંગેની ગેરમાન્યતાઓ
ભારતીય સમાજમાં ચંદ્રગ્રહણ સાથે કેટલીક માન્યતા-ગેરમાન્યતાઓ વણાયેલી છે.
 
અનેક માન્યતાઓ અનેક લોકો માટે શ્રદ્ધાનો વિષય હોય છે અને તેનું પાલન પણ કરાતું હોય છે.
 
ગ્રહણ અંગે ઘણા લોકોના મનમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જેમ કે, ઘણા લોકો ગ્રહણની અસરથી ગર્ભવતી મહિલાને શારીરિક ખોડખાપણવાળું બાળક જન્મી શકે છે એવું માને છે.
 
તેમજ ગ્રહણ દરમિયાન ઘરની બહાર નીકળવાથી મહિલાઓને ગર્ભપાત થઈ શકે એવી ગંભીર પ્રકારની માન્યતાઓ પણ લોકોમાં જોવા મળે છે.
 
ખોરાક અને તેની કેટલીક સામગ્રીને ગ્રહણ દરમિયાન ઢાંકી દેવામાં આવે છે.
 
વળી ગ્રહણ દરમિયાન કંઈ પણ ખાવાનું નહીં અને ઉપવાસ કરવાની માન્યતા પણ પ્રવર્તે છે.
 
આ સમય દરમિયાન પૂજાપાઠ પણ કરવામાં આવે છે. કેમ કે માન્યતા અનુસાર આ સમયને ધાર્મિક ગણવામાં આવે છે.
 
લોકોમાં પ્રવર્તતી ગ્રહણને લગતી માન્યતાઓ શું ખરેખર સાચી છે અને તેને ગ્રહણ સાથે કોઈ સંબંધ છે કે નહીં તે જાણવા બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહે ફિઝિક્સનાં પ્રોફેસર ડૉ. મીના તલાટી સાથે વાતચીત કરી હતી.
 
ભરૂચની કે. જે. પોલિેટેકનિક કૉલેજનાં ફિઝિક્સનાં પ્રોફેસર ડૉ. મીના તલાટીના જણાવ્યા મુજબ ખરેખર વિજ્ઞાનમાં આવા કોઈ તારણો સંશોધન કે થિયરી નથી જે આ સંબંધિત માન્યતાઓ અને ગ્રહણ વચ્ચે સંબંધ હોવાનો પુરાવો આપે છે.
 
તેમણે આ વિશે જણાવતા કહ્યું, "ગ્રહણ એ એક અવકાશ વિજ્ઞાનની ખગોળીય ઘટના છે."
 
"તેની પૃથ્વી પર સામાન્ય લોકોના શારીરિક-માનસિક લક્ષણો પર સીધી અસર માટે તર્ક આપવામાં આવતા હોય છે, પરંતુ તેમાં કોઈ પુરવાર થયેલી થિયરી નથી."
 
"ખરેખર ગ્રહણ એક ઘટના છે, જે પૃથ્વી સંબંધે ઘણી દુર્લભ છે. તેને માણવું જોઈએ અને આ બધી ઘટનાઓ વિશે જાણવું સમજવું જોઈએ."
 
"રહી વાત ગ્રહણ સમયે જમવું નહીં અને બહાર નહીં જવાની માન્યતાની, તો જૂના જમાનામાં કાચાં મકાનો રહેતાં અને વીજળી નહોતી."
 
"આથી ગ્રહણ સમયે અંધારું હોવાથી ઘરમાં બનાવેલા ખોરાક કે તેની સામગ્રીમાં કોઈ જંતુ ન પડી જાય એટલા માટે લોકો ખાતાં ન હતા."