ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By આદેશ કુમાર ગુપ્ત|
Last Modified: સોમવાર, 13 મે 2019 (09:06 IST)

IPL2019 : ધોનીની એ ભૂલ જેને કારણે ફાઇનલમાં હારી ગઈ ચેન્નઈ

આદેશ કુમાર ગુપ્ત
ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
 
મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી આઈપીએલ-12ની ફાઇનલ મૅચ એટલી રોમાંચક હતી અડધી રાત સુધી ક્રિકેટ પ્રેમીઓમાં તેની ખુમારી જોવા મળી.
મૅચની ઘડી સાથે ધબકારા પણ વધારી દેતી ફાઇનલ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને અંતિમ બૉલમાં પરાજય આપ્યો.
અંતિમ ઓવર હતી મુંબઈના ફાસ્ટ બૉલર લસિથ મલિંગાની જેઓ ખતરનાક યૉર્કર માટે જાણીતા છે.
તેમની સામે ચેન્નઈના શાર્દુલ ઠાકુર હતા. જોકે, ઠાકુર મેદાનમાં આવ્યા ત્યારે ટીમને જીતવા માટે 150 રનના લક્ષ્યમાંથી માત્ર બે બૉલમાં ચાર રન જોતા હતા.
મલિંગાના પ્રથમ બૉલમાં ઠાકુરે બે રન લીધા પરંતુ પછીના અને અંતિમ બૉલ પર તેઓ વિકેટ ખોઈ બેઠા.
 
શાર્દુલ પર બાજી ધોનીની ભૂલ
શાર્દુલ ઠાકુર એલબીડબલ્યૂ થતા ચેન્નઈની ટીમમાં નિરાશા છવાઈ ગઈ. મૅચમાં અણધાર્યા નિર્ણયો લઈ મૅચ પોતાના નામે કરનારા ધોનીએ શાર્દુલ પર બાજી લગાવી ભૂલ કરી હતી?
આ અંગે ક્રિકેટ સમીક્ષક વિજય લોકપલ્લી માને છે કે આ નિર્ણય લઈ ધોનીએ ખરેખર ભૂલ કરી.
શાર્દુલ ઠાકુર કરતાં હરભજન સિંઘ ફોર-સિક્સ મારવા માટે વધુ જાણીતા છે.
બીજી તરફ ક્રિકેટ સમીક્ષક અયાઝ મેમણનું માનવું છે કે કદાચ પ્રથમ શ્રેણીની મૅચના રનને ધ્યાનમાં રાખીને ધોનીએ શાર્દુલ પર બાજી લગાવી હશે.
 
હરભજન પર દાવ
ધોનીએ જે નિર્ણય લીધો તે લીધો પરંતુ હરભજનને શાર્દુલ કરતાં વધુ અનુભવ છે.
અયાઝ મેમણ આગળ કહે છે કે હરભજન સિંઘમાં દબાણ સહન કરવાની તાકત પણ વધુ છે.
તેઓ એવું પણ માને છે કે ધોનીએ કદાચ એવું વિચાર્યું હશે કે શાર્દુલ ઠાકુર, હરભજન સિંઘ કરતાં રવિન્દ્ર જાડેજા સાથે એક-બે રન વધુ લઈ શકે, કારણ કે તેઓ યુવાન છે. આ સિવાય બીજું કોઈ કારણ નથી લાગતું.
 
વૉટસનનું રન આઉટ થવું
ચેન્નઈ જીતના દ્વાર પર આવીને ઊભી હતી ત્યારે જ શેન વૉટસનનું રન આઉટ થવું પણ ટીમની હારનું એક કારણ ગણી શકાય.
વૉટસને ગત વર્ષ 2018માં હૈદરાબાદ વિરુદ્ધ અણનમ સદી ફટકારીને એકલાહાથે ચેન્નઈને ત્રીજી વખત ચૅમ્પિયન બનાવી હતી.
તેમણે 59 બૉલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા.
લસિથ મલિંગાની અંતિમ ઓવરના ચોથા બૉલમાં વૉટસન બે રન લેવા ગયા અને રન આઉટ થઈ વિકેટ ખોઈ બેઠા. આ ભૂલ ચેન્નઈને ભારે પડી.
આ મુદ્દે વિજય લોકપલ્લી કહે છે કે વૉટસન અનુભવી ખેલાડી છે અને તેમણે મૅચ પૂરી કરવાની જરૂર હતી.