શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By સરોજ સિંહ|
Last Modified: શુક્રવાર, 22 મે 2020 (19:26 IST)

નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત યોજનામાં એક કરોડ લાભાર્થીનો દાવો તો કર્યો પરંતુ શું છે ખરી હકીકત

આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને એક કરોડ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ જાણકારી શૅર કરી હતી. તેમના ટ્વીટ બાદથી જ અભિનંદનવર્ષા શરૂ થઈ ગઈ.
 
અમિતાભ બચ્ચન, અજય દેવગન અને સરકારના મંત્રી તમામે વડા પ્રધાનના ટ્વીટને રિટ્વીટ કરવાની તક ન જવા દીધી.
 
કેન્દ્ર સરકાર ઘણા સમયથી એવો દાવો કરતી આવી છે કે આયુષ્માન ભારત એ માત્ર ભારતની જ નહીં, પરંતુ વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યૉરન્સ સ્કીમ છે.
 
વર્ષ 2018મા આ યોજનાની શરૂઆત રાંચીથી કરાઈ હતી. એ પહેલાં આ યોજનાની ટ્રાયલ દરમિયાન હરિયાણાના કરનાલમાં આ યોજના અંતર્ગત જન્મ લેનાર બાળકી 'કરિશ્મા'ને આ યોજનાની પ્રથમ લાભાર્થી માનવામાં આવે છે.
 
નોંધનીય છે કે આ યોજના હેઠળ ગરીબ પરિવારના તમામ સભ્યોનાં આયુષ્માન કાર્ડ બનાવાય છે, જેમાં હૉસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિમાં 5 લાખ સુધી મફત સારવારનો લાભ મળે છે.
 
આયુષ્માન ભારતના એક કરોડ લાભાર્થી નથી
 
યોજનાની જાહેરાત
પરંતુ જે લોકો આયુષ્માન ભારતના લાભાર્થીઓની સંખ્યા એક કરોડ ગણાવી રહ્યા હતા, ખરેખર તો આ સંખ્યા ઇલાજની છે. આ બંને વાતોમાં ઘણો ફરક છે.
 
આ ફરક બીબીસીને આયુષ્માન ભારતના સીઈઓ ઇંદૂ ભૂષણે જ સમજાવ્યો. તેમણે આ યોજના અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે, 'આ યોજનાના લાભાર્થીઓએ એક કરોડ વખત આ યોજનાનો લાભ લીધો છે.'
 
'તેનો અર્થ એ નથી થતો કે આ યોજનાના એક કરોડ લાભાર્થી થઈ ગયા છે.'
 
'તેઓ લાભાર્થીઓની સંખ્યા ઓછી માને છે. એક કરોડની સંખ્યા તો આ યોજના હેઠળ થયેલા ઇલાજની છે.'
 
જે રાજ્યોમાં આ યોજના હેઠળ જે રાજ્યોમાં સૌથી વધુ સારવાર અપાઈ ચૂકી છે, તેમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને ઝારખંડ સામેલ છે.
 
આયુષ્માન ભારત યોજના પર અત્યાર સુધી સરકાર 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે. આંકડા અનુસાર, જે પૈકી સાત હજાર કરોડ રૂપિયા ગંભીર બીમારીઓની સારવાર પાછળ લાગ્યા છે.
 
મોટા ભાગના દર્દીઓએ કૅન્સર, હૃદયરોગ, હાડકાં અને પથરીની બીમારીનો ઇલાજ કરાયો છે.
 
આયુષ્માનમાં કોરોનાની સારવાર
 
પરંતુ દેશમાં હાલ કોરોના મહામારીની ચાલી રહી છે, તો શું આ યોજના અંતર્ગત કોરોનાનો ઇલાજ નથી થઈ રહ્યો?
 
આયુષ્માન યોજનામાં કોરોનાની સારવાર પણ કવર થાય છે.
 
આ યોજના અંતર્ગત લગભગ 2100 લોકોએ કોરોનાની સારવાર પણ મેળવી છે. તેમજ આ યોજના અંતર્ગત જ લગભગ ત્રણ હજાર લોકોના કોરોના ટેસ્ટ પણ કરાયા છે.
 
દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા એક લાખ 12 હજારને પાર કરી ગઈ છે.
 
આવી પરિસ્થિતિમાં 2100ના આંકડાથી આપણે ખુશ થઈ જવું જોઈએ?
 
આ પ્રશ્નના જવાબમાં ઇંદૂ ભૂષણ જણાવે છે કે, 'એક લાખ 12 હજાર કોરોનાના દર્દીઓ પૈકી માત્ર છ ટકા દર્દીઓને આઈસીયુની જરૂર પડે છે.'