શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 મે 2019 (09:19 IST)

લોકસભા ચૂંટણી 2019 : કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં પથ્થરમારો, લાઠીચાર્જ અને હોબાળો

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે સાંજે ભાજપના અધ્યક્ષ અમિત શાહની રેલી દરમિયાન 'તૃણમૂલ કૉંગ્રેસ વિદ્યાર્થી પરિષદ'ના સભ્યો અને ભાજપના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો. તૃણમૂલ કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખના સભ્યોએ શાહને કાળા વાવટા બતાવ્યા અને વાહન પર પથ્થર તથા દંડા ફેંક્યા.
તેમણે 'અમિત શાહ ગૉ બૅક'ના નારા પણ પોકાર્યા. એ બાદ રોડ શોમાં સામેલ ભાજપના કાર્યકરો સાથે એમનું ઘર્ષણ થયું.
 
થોડા સમય માટે બન્ને તરફથી પથ્થર અને શીશા ફેંકાતા રહ્યા. ઉશ્કેરાયેલી ભીડને વિખેરવાં માટે આખરે પોલીસને લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો. આમાં કેટલાય લોકો ઘાયલ થયા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. હિંસા દરમિયાન ત્યાં આગ પણ લગાવાઈ.
અમિત શાહે બાદમાં પત્રકારોને કહ્યું, "મમતા બેનરજી હારની આશંકાને કારણે આતંકિત છે. આ હુમલો તેમની હતાશાનું પ્રતીક છે."
 
તેમણે કહ્યું કે તૃણમૂલના ગુંડાઓએ અચાનક જ રેલી પર હુમલો કરી દીધો એટલે રોડ શો પણ પૂરો ન થઈ શક્યો અને વિવેકાનંદની પ્રતિમા પર પણ હાર ના ચઢાવી શકાયો.
 
ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિન્હાએ આરોપ લગાવ્યો, "રાજ્યની પોલીસ પહેલાં મૂકદર્શક બની રહી અને તેણે જ તૃણમૂલના વિદ્યાર્થીઓને કાળા વાવટા બતાવવા માટે સુરક્ષાઘેરો તોડીને આગળ આવવાની મંજૂરી આપી હતી."
 
બીજી તરફ, તૃણમૂલ કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના સમર્થકો જાણીજોઈને હિંસા.
 
પાર્ટીના મહાસચિવ પાર્થ ચેટરજીએ કહ્યું, "શક્તિ દર્શાવવા માટે ભાજપના લોકોએ હોબાળો શરૂ કર્યો. જે બાદ પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો."
 
મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું, "ભાજપે બહારથી ગુંડા લાવીને હોબાળો અને હિંસા કરાવી છે." તમણે વિદ્યાસાગર કૉલજમાં કથિત ભાજપના સમર્થકોએ કરેલી તોડફોડની પણ નિંદા કરી.
 
ઘટનાસ્થળે હાજર એક બંગાળી અખબારના વરિષ્ઠ પત્રકાર સોમાન સેને જણાવ્યું, "કલકત્તા વિશ્વવિદ્યાલયના દરવાજા પાસે તૃણમૂલ કૉંગ્રેસ વિદ્યાર્થી પરિષદના કેટલાય કાર્યકરો શાહની રેલીમાં પહોંચવા માટે પહેલાંથી જ હાથમાં કાળા વાવટા લઈને ઊભા હતા."
 
"પોલીસે પહેલાં તેમને અટકાવ્યા પણ શાહનો રોડ શો ત્યાં પહોંચતા જ કેટલાય વિદ્યાર્થીઓએ તેમને કાળા વાવટા દેખાડ્યા. તેમણે 'અમિત શાહ ગૉ બૅક'ના નારા પણ પોકાર્યા અને અચાનક જ ક્યાંકથી અમિત શાહના વાહન પર પથ્થર અને ડંડા ફેંકાયા. એ બાદ પોલીસ લાઠીચાર્જ કરવા લાગી અને ત્યાં અફરાતફરી મચી ગઈ."
તેઓ જણાવે છે કે ભાજપના લોકો પણ પથ્થરમારો કરવા લાગ્યા. દરવાજા તરફ કેટલાય શીશા ફેંકાયા. એ બાદ પોલીસે ત્યાં લાઠીચાર્જ કર્યો એટલે દોડધામની સ્થિતિ સર્જાઈ.
 
નોંધનીય છે કે આ રોડ શોને લઈને મંગળવારની સવારથી જ તણાવ હતો અને આરોપ-પ્રત્યારાપ કરાઈ રહ્યા હતા.
 
રોડ શોની બે કલાક પહેલાં જ જ્યાંથી રેલી નીકળવાની હતી એ લેનીન સરણી પર લાગેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને કોલકાતા ઉત્તરના ભાજપના ઉમેદવાર રાહુલ સિન્હાનાં પૉસ્ટર, ઝંડા અને કટઆઉટને પોલીસે હટાવી દીધાં હતાં.
 
જોકે, ભાજપનો આરોપ છે કે પોલીસની આડશ લઈને તૃણમૂલ કૉંગ્રેસના લોકોએ આ કામ કર્યું છે. આનો વિરોધ કરવા માટે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય થોડી વાર માટે ધર્મતલ્લા વિસ્તારમાં ધરણાં પર પણ બેઠા. ભાજપના નેતાઓએ તૃણમૂલ કૉંગ્રેસ પર શાહના રોડ શોમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.
 
વિજયવર્ગીયે કહ્યું, "ચૂંટણીપંચે શાહને રોડ શો યોજવાની મંજૂરી આપી છે પણ સરકાર અહીં રસ્તા પર પક્ષના ઝંડા અને બૅનર લગાવતા અટકાવી રહી છે."
 
તેમણે બંગાળની સરકાર પર ગુંડાગીરીનો આરોપ લગાવતા ચૂંટણીપચ સમક્ષ ફરિયાદ કરવાની પણ વાત કરી.
 
હકીકતમાં સોમવારે દક્ષિણ 24-પરગણા વિસ્તારમાં આયોજીત ચૂંટણીસભામાં શાહે ઉચ્ચારેલા આકરા વેણે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસની વચ્ચે કડવાશ વધારી દીધી છે.
 
'હિમ્મત હોય તો મારી અટકાયત કરી બતાવે'
 
અમિત શાહે કહ્યું હતું, "હું જય શ્રીરામના નારા લગાવી રહ્યો છું અને મંગળવારના રોજ કોલકતામાં રહીશ. જો મુખ્ય મંત્રી મમતા બેનરજીમાં હિંમત હોય તો મારી ધરપકડ કરીને બતાવો."
 
તેમણે મમતા બેનરજી સરકાર પર સ્વર્ણિમ બંગાળને કંગાળ બંગાળ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમની આ ટિપ્પણીથી તૃણમૂલ કૉંગ્રેસમાં ખૂબ નારાજગી હતી. તૃણમૂલ કૉંગ્રસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૅરેક ઑ બ્રાયને મંગળવારના રોજ કહ્યું, "શાહે કંગાળ બંગાળ જેવી ટિપ્પણીના માધ્યમથી પોતાની ખરાબ માનસિકતાનો પરિચય આપ્યો છે. રાજ્યના લોકો ચૂંટણીના માધ્યમથી શાહને તેનો જવાબ આપશે."
 
રાજ્ય સરકાર તરફથી હેલિકૉપ્ટર ઉતારવાની પરવાનગી ન મળવાના કારણે શાહની એક રેલી રદ કરવી પડી હતી. આ વચ્ચે પોલીસે કહ્યું છે કે તેમણે ચૂંટણીપંચના સીધા નિર્દેશ પર બેનર, ઝંડા તેમજ કટઆઉટ હટાવ્યાં છે. તેમને પરવાનગી વગર રાજ્ય સરકારની સંપત્તિ પર લગાવવામાં આવ્યાં હતાં.
 
પરંતુ ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે પોલીસની હાજરીમાં આ કામ તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તા કરી રહ્યા છે અને તેઓ ઇરાદાપૂર્વક બેનર અને કટઆઉટને નષ્ટ કરી રહ્યા છે.
 
ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિન્હાએ દલીલ આપી કે જો ચૂંટણીપંચે તેમને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો તો તેમના કોઈ પ્રતિનિધિએ ઘટનાસ્થળે હાજર રહેવાની જરૂર હતી. પરંતુ તેના બદલે તૃણમૂલ કૉંગ્રેસના જ લોકો તેમને હટાવી રહ્યા છે.