બુધવાર, 17 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (09:26 IST)

Arvind Trivedi death- સિરિયલમાં જ્યારે રાવણવધ થયો એ દિવસે આખો દેશ રડ્યો હતો

રામાયણમાં ‘લંકેશ’નુ પાત્ર ભજવાનારા અરવિંદ ત્રિવેદીનુ અવસાન થયાના સમાચાર છે. અરવિંદ ત્રિવેદી 86 વર્ષની વયના હતા. તેઓએ મુંબઇના કાંદિવલી સ્થિત તેમના નિવાસ સ્થાને મંગળવારે રાત્રી 11.05 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
 
રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે. 
મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો,  અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું છે. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ્સ દ્વારા તેમને ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી. 
8 મી નવેમ્બર 1938 માં ઇંદોરમાં જન્મેલા અરવિંદ ત્રિવેદીનુ મૂળ વતન ઇડર નજીકનુ કુકડીયા ગામ છે.
રામાનંદ સાગરે રામાયણ સિરિયલ માટે લગભગ બધા પાત્રોની પસંદગી કરી લીધી હતી. રાવણના પાત્ર માટે પ્રભાવશાળી અભિનેતા મળતા નહોતા. હવે કરવું શું ? એવો સવાલ આવીને ઉભો રહ્યો. રામાનંદ સાગરે રાવણના પાત્ર માટે 400 જેટલા ઓડિશન લીધા પણ એમના મનમાં જે પાત્ર હતું, તેવો 'લંકેશ' મળ્યો નહીં
 
સિરિયલમાં રાવણ મરાયો તો દેશ રડ્યો હતો
રામાયણ સિરિયલમાં દારાસિંહ હનુમાન હતા, અરુણ ગોવિલ રામ અને દીપિકા ચીખલીયા સીતાનું કિરદાર નિભાવતા હતા. આ અને આ સિવાયના તમામ કીરદારોમાં લોકોએ સૌથી વધારે રાવણના કિરદારને પસંદ કર્યું હતું. કારણ કે અરવિંદભાઈએ આ પાત્ર ભજવીને રાવણને ગરિમા અપાવી હતી. રાવણના પાત્રની લોકપ્રિયતા જબરદસ્ત બની હતી. ત્યાં સુધી કે જયારે રામાયણ સિરિયલ સમાપન તરફ હતી અને રાવણ વધનો એપિસોડ આવ્યો ત્યારે દેશભરના કરોડો દર્શકોમાં રીતસરનો સોપો પડી ગયો હતો. રાવણનો વધ થયો ત્યારે આખો દેશ રડ્યો હતો. આ પણ ટીવી જગતમાં ઇતિહાસ છે.
રામ ભક્ત હતા રાવણ 
અરવિંદ ત્રિવેદી રામજન્મોત્સવને પ્રતિવર્ષ અચુક ઉજવતા હતા. તેમના મિત્ર વર્તૂળ અને તેમની દિકરીઓ અને જમાઇઓની ઉપસ્થિતીમાં તેઓ રામનવમીની ઉજવણી કરતા હતા. ઇડરમાં તેઓ રામનવમીના દિવસે ઉપસ્થિત રહેતા અને રામની પૂજા અર્ચના કરતા હતા. તેમની આ પરંપરા નિયમીત રહી હતી. ઉંમરના કારણે નાદુરસ્ત તબિયત છતા તેઓ રામ જન્મોત્સવ ની ઉજવણી કરવા મુંબઇ થી અચૂક ઇડર આવી પહોંચતા હતા. તેઓ તાજેતરમાં પણ ઇડર સ્થિત તેમના અન્નપૂર્ણા નિવાસ સ્થાને રોકાણ કરવા માટે આવ્યા હતા.
 
300 ફિલ્મોમાં કામ કર્યુ છે 
અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું છે. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ્સ દ્વારા તેઓને
ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી. અરવિંદ ત્રિવેદીએ 'સંતુરંગીલી', 'હોથલ પદમણી','કુંવર બાઇનું મામેરૂં', 'જેસલ-તોરલ' અને 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. અરવિંદ ત્રિવેદીએ 'પરાયા ધન','આજ કી તાજા ખબર' જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે.