શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 16 માર્ચ 2020 (10:05 IST)

Coronavirus Live Updates: કોરોના ગ્રસ્ત દેશોમાંથી ભારતીયોનુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, ઈરાનથી 53 લોકો જૈસલમેર પહોંચ્યા

યુરોપિયન સંઘના ત્રણ દેશ ઇટાલી (368), સ્પેન (97) અને ફ્રાન્સમાં (29) સૌથી વધુ અસર જોવા મળી રહી છે અને આ ત્રણેય દેશોમાં એક જ દિવસનો સર્વોચ્ચ મરણાંક નોંધાયો છે. ઇટાલીમાં (1,809), સ્પેન (288) અને ફ્રાન્સમાં (120) પર મરણાંક થઈ ગયો છે. યુ. કે.માં 14 લોકોનાં મૃત્યુ સાથે 35 પર મરણાંક પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 13 કોરોનાના દર્દી સ્વસ્થ થઇ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મોડી રાત્રે માહિતી આપી કે રાજસ્થાનમાં ત્રણ દર્દી હવે સ્વસ્થ થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સિવાય ત્રણ દર્દી કેરળમાં અને 7 લોકો દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં સ્વસ્થ છે.યુરોપિયન સંઘના વડાએ મળીને સંયુક્ત પ્રયાસ અને સંસાધનો દ્વારા કોરોના વાઇરસને ફેલાવતો અટકાવવા માટે અપીલ કરી છે.અનેક યુરોપિયન દેશોએ રોગને ફેલાતો અટકાવવા માટે અલગ-અલગ પ્રકારના નિષેધાત્મક આદેશ લાગુ કર્યા છે.વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇનેશને યુરોપને 'મહામારીનું કેન્દ્રબિન્દુ' ગણાવ્યું છે.
 
- મહારાષ્ટ્ર બાદ કેરળમાં કોરોના વાયરસના સૌથી વધુ દર્દી છે. અહીં 22 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાના 12 કેસ સામે આવ્યા છે. દેશમાં નેશનલ ઇમરજન્સી જાહેર કરાઇ ચૂકી છે. જેથી કરીને મહામારીને રોકવાના પ્રયાસ તેજ થઇ શકે.
- ઉત્તરાખંડમાં રવિવારના રોજ કોરોના વાયરસ સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. એફઆરઆઇના એક ટ્રેનીનો તપાસ રિપોર્ટમાં સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ છે
-  ઇરાનમાં ફસાયેલા 105 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. આ સાથે જ ઈરાનથી પરત ફરનારાઓની સંખ્યા 389 પર પહોંચી ગઈ છે.
- ભારતમાં, ગુજરાત, પંજાબ, બિહાર, ઓ઼ડિશા, છત્તીસગઢ, દિલ્હી સહિત અનેક રાજ્યોએ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે લોકોના એકઠાં થવાના સ્થળો તથા સ્કૂલ-કૉલેજ સંદર્ભે નિષેધાત્મક આદેશ આપ્યા છે.
-  અમેરિકા દ્વારા યુરોપનાં 26 રાષ્ટ્રો પર લાદવામાં આવેલા પ્રવાસનિષેધનો અમલ શરૂ થઈ ગયો છે. અમેરિકાએ યાત્રા મામલે બ્રિટન અને આયર્લેન્ડ પર પણ પ્રતિબંધ લગાવી દીધા છે કે જે સોમવારથી લાગુ થશે.
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે, જેના પગલે સરકાર હવે 50 અબજ ડૉલરનાં રાહતકાર્યો હાથ ધરી શકશે.
- બ્રિટનના ચીફ મેડિકલ ઑફિસરે જણાવ્યું છે કે મૃતકોનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ હતું. બ્રિટનમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1140 થઈ ગઈ છે.
- ભારત સરકારે ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાઇરસની આફતને 'નોટિફાઇડ ડિઝાસ્ટર' એટલે કે 'અધિસૂચિત આપદા' જાહેર કરી છે.
-  આ આફતને નોટિફાઇડ ડિઝાસ્ટર જાહેર કરાતાં સરકાર કોરોના પીડિત પરિવારોને વળતર અને સહાય કરશે. આ માટે રાજ્યોના 'ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડ'માંથી મદદ કરવામાં આવશે.
-  ગૃહમંત્રાલયના દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના અનુસાર કોરોના વાઇરસથી મરનારી વ્યક્તિના પરિવારને ચાર લાખ રૂપિયા આપવામાં આવશે અને દરદીની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
-  આ ઉપરાંત ક્વૉરેનટાઇન કૅમ્પમાં પણ દરદીને અસ્થાયી આવાસ, અન્ન-પાણી, કપડાં અને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવશે. આ માટે રાજ્યની આપદા રાહત ફંડનો પણ ઉપયોગ કરવામાં આવશે.
-  સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝનાં પત્ની બેગોના ગોમેઝનો કોરોના વાઇરસનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.
-  કોરોના વાઇરસનો સામનો કરવા માટે ફ્રાંસમાં તમામ બિન-જરૂરી સાર્વજનિક સ્થળોને શનિવારે અડધી રાત્રે બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
-  કેન્દ્રીય ગૃહમંત્રાલયની ભલામણના આધારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દોડતી રેલ તથા બસસેવાને 15મી એપ્રિલ સુધી માટે બંધ કરી દેવામાં આવી છે.
-  કેન્દ્ર સરકારે સેનિટાઇઝર તથા માસ્કને આવશ્યક ચીજવસ્તુ જાહેર કરી, જેના કારણે તેની સંગ્રાહકોરી અને નફાખોરી ગુનાહિત અપરાધ બની રહેશે.
-  ભારતમાં કોરોનાને કારણે બીજી વ્યક્તિનું મૃત્યુ થયું છે. કર્ણાટકના કલબુર્ગી બાદ દિલ્હીમાં મૃત્યુનો કેસ નોંધાયો હતો.
-  BCCIએ કોરાના વાઇરસના જોખમને જોતાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ને 29 માર્ચની જગ્યાએ 15 એપ્રિલે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સિરીઝમાં વિદેશી ખેલાડીઓના ભાગ લેવા ઉપર પણ જોખમ ઊભું થયું હતું.
-  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીને રદ કરી દેવાઈ છે. બીસીસીઆઈએ લખનૌ અને કોલકતામાં રમાનારી બાકીની બે મૅચને રદ કરવાની જાહેરાત કરી છે.
-  ઑસ્ટ્રેલિયાના ગૃહમંત્રી પીટર ડટનને પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. તેમને હૉસ્પિટલમાં ભરતી કરાયા છે.
-  ભારતે 15 એપ્રિલ, 2020 સુધી તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે. જેથી કોઈ પણ ભારત નહીં આવી શકે. તેમાં ખાસ પ્રકારના વિઝામાં કેટલીક છૂટછાટ અપાઈ છે.
-  ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઑફ રિસર્ચનું કહેવું છે કે કોવિડ-19 કોરોના વાઇરસની રસી શોધતા લગભગ દોઢ વર્ષ લાગી શકે છે.
-   ગરમી વધવાથી વાઇરસની અસર ઘટશે એ અંગે પણ આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, હાલ કોરોના વાઇરસ પર અભ્યાસ ચાલી રહ્યો છે અને હાલ તાપમાન વધવાથી વાઇરસ પર શું અસર પડશે એ કહી શકાય એમ નથી.