શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 21 મે 2020 (11:42 IST)

Corona Death - અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ મોત કેમ ?

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાઇરસના સાજા થનાર દરદીઓ કરતાં મૃતકોની સંખ્યા વધારે છે એવું ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો એક અહેવાલ જણાવે છે.
 
અહેવાલ અનુસાર ગુજરાતમાં એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા કોરોનાથી સાજા થનાર દરદીઓથી વધારે છે.
 
અખબાર મુજબ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં 25 માર્ચથી 19 મે સુધી કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 343એ પહોંચી છે જ્યારે 338 દરદીઓ સાજા થયા છે.
 
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત એસવીપી હૉસ્પિટલમાંથી 884 દરદી સાજા થયા છે જ્યારે 117 દરદી મૃત્યુ પામ્યા છે. ખાનગી હૉસ્પિટલમાં 186 લોકો સાજા થયા જ્યારે 63 મૃત્યુ પામ્યા છે.
 
આજ રીતે સોલા સિવિલમાં 187 લોકો સાજા થયા છે જ્યારે 26 લોકો મૃત્યુ પામ્યા છે.
 
અખબાર લખે છે કે વધારે મૃત્યુ થવાના કારણે સિવિલ હૉસ્પિટલ પ્રત્યે લોકોમાં ભય વધી રહ્યો છે.
 
અખબાર મુજબ હૉસ્પિટલમાં ડૉક્ટર અને નર્સની ઓછી સંખ્યા, સમયસર દવા ન મળવી, ધમણ-1 વૅન્ટિલેટરનો ભય અને હાઈ-ઍન્ડ વૅન્ટિલેટરની ઉણપ વગેરે જેવા 22 કારણો લોકો દ્વારા જાણવા મળ્યા છે.
 
જોકે, સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરનું કહેવું છે કે ખૂબ જ ગંભીર હાલતમાં હોય તેવા દરદીઓને ખાનગી હૉસ્પિટલ અને સોલા સિવિલમાંથી પણ મોકલવામાં આવે છે. જેના કારણે અહીં મૃતકાંક વધારે છે.
 
આ ઉપરાંત કોરોના વાઇરસની સારવાર કરી રહેલાં એક સિનિયર અધિકારીએ કહ્યું કે ઘરડાં લોકો હૉસ્પિટલમાં દાખલ થવાથી અને સિમ્ટમસ દેખાયાના ઘણા સમય બાદ હૉસ્પિટલમાં દાખલ થતાં મૃતકાંક ઉંચો છે.