1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (01:20 IST)

Kartik Month 2021: દાન પુણ્યનો મહિનો છે કારતક, આ મહિને જરૂર કરો આ 4 કામ

કારતક મહિનાને શાસ્ત્રોમાં પૂજાની દ્રષ્ટિએ સર્વોત્તમ માનવામાં આવે છે. આ મહિનામાં શુભ કાર્ય કરવાથી અનેકગણું પ્રાપ્ત થાય છે. અહીં જાણો કયા કામો આ મહિનામાં કરવા પુણ્યશાળી માનવામાં આવે છે.
 
ગુજરાતી કેલેન્ડરનો પહેલો મહિનો કારતક છે. આ મહિનો 21 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થવા જઈ રહ્યો છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ મહિનો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કારતક મહિનાનું વિશેષ મહત્વ વર્ણવતા કહ્યું છે કે કારતક જેવો કોઈ મહિનો નથી, સત્યયુગ જેવો કોઈ યુગ નથી, વેદ જેવો કોઈ ગ્રંથ નથી અને ગંગા જેવું કોઈ તીર્થ નથી.
 
કારતક મહિનામાં જ ભગવાન વિષ્ણુ પોતાની ચાર મહિનાની ઉંઘ પૂર્ણ કરે છે અને દેવઉઠી એકાદશીના દિવસે જાગે છે. આ સાથે જ ચાતુર્માસ સમાપ્ત થાય છે અને તમામ શુભ કાર્ય ફરી શરૂ થાય છે,  એવું પણ કહેવાય છે કે આ મહિનામાં માતા લક્ષ્મી પૃથ્વીના દર્શન કરવા આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે તે લોકોને દાન કરતા અને નારાયણની ભક્તિ કરતા જુએ છે, ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે. આવા લોકોને ચોક્કસપણે માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. જો તમે પણ કારતક મહિનામાં દેવી લક્ષ્મી અને નારાયણના આશીર્વાદ મેળવવા ઈચ્છો છો, તો અહી બતાવેલા 4 કામ જરૂર કરો. 
 
1. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો
 
આખુ વર્ષ દરમિયાન તમે ભલે ગમે ત્યારે ઉઠતા હોય અને સ્નાન વગેરે કરતા હોય, પરંતુ કારતક મહિનામાં આ આદત બદલો. આ મહિનામાં દરરોજ બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવાની આદત બનાવી લો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પવિત્ર નદીમાં સ્નાન કરો તો તે ખૂબ જ સારું છે. જો તમે આવુ ન કરી શકો તો પછી ઘરના નળના પાણીમાં જ થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. કહેવાય છે કે આમ કરવાથી સૌભાગ્ય વધે છે. 
 
2. તુલસીની પૂજા કરો 
 
 શાસ્ત્રોમાં તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે અને દરરોજ તેની પૂજા કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ કારતક મહિનામાં તુલસીની વિશેષ પૂજા કરવાનો નિયમ છે. આ જ મહિનામાં ભગવાન વિષ્ણુ સાથે તુલસીના લગ્ન પણ કરાવવામાં આવે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કારતક મહિનામાં સતત એક મહિના સુધી તુલસીની સામે દીપ દાન કરવાથી અપાર પુણ્ય પ્રાપ્તિ થાય છે. 
 
3. દીપદાન જરૂર કરો 
 
કારતક મહિનામાં દીપ દાન કરવાથી ઘરમાંથી અંધકાર દૂર થાય છે. નકારાત્મકતા નાશ પામે છે અને સકારાત્મકતા ઘરમાં દરેક જગ્યાએ ફેલાય છે. તેથી આ મહિનામાં મંદિર, તીર્થ સ્થળ, તુલસી, પવિત્ર નદી અથવા વૃક્ષ વગેરે નીચે  દીપ દાન જરૂર કરવું જોઈએ. આનાથી ઘરમાં ધનધાન્યની કમી રહેતી નથી. 
 
4. દાન કરવું ખૂબ જ શુભ છે
 
શાસ્ત્રોમાં દાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે તમારા ખરાબ કર્મનો નાશ કરે છે અને જીવનને સુખદ બનાવે છે. કારતક મહિનામાં કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવુ જરૂરી બતાવ્યુ છે. આવી સ્થિતિમાં તમે અન્ન દાન, તુલસી કે આમળાના છોડનું દાન કરવું, ગાયનું દાન ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. આ ઉપરાંત તમે તમારી ક્ષમતા અનુસાર ગરીબ લોકોને કંઈપણ દાન કરી શકો છો.