Vijayadashami Puja | વિજયાદશમીની ઉજવણી
આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રી ચાલે છે અને અને દશમ એટલે કે નવરાત્રીનો છેલ્લો દિવસ તેને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. તેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરાધના અને ઉપાસના કરે છે અને દસમા દિવસે તેમની પૂર્ણાહૂતિના રૂપે દશેરાની ઉજવણી કરે છે. આ તહેવાર આખા ભારતભરમાં ઉજવાય છે.
વિજયા દશમી સાથે બે દંતકાથઓ જોડાયેલી છે-
દેવી ભગાવત અનુસાર ભગવાન શ્રી રામે નવ દિવસ સુધી રાવણ સાથે યુધ્ધ કર્યા બાદ દસમા દિવસે તેનો વધ કર્યો હતો. શ્રી રામની જીત થઈ અને રાવણની હાર થઈ હતી તેની ખુશીમાં લોકોએ તે વખતે દશેરાની ઉજવણી કરી હતી. તેથી તેને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે.
આજે પણ લોકો એટલા જ હર્ષોલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરે છે. આજે પણ લોકોએ વર્ષો જુની પરંપરાને જાળવી રાખી છે. જેમકે આજે પણ શેરીએ શેરીએ અને ગામે ગામ રાવણ દહન થાય છે. એટલે રાવણનું પુતળુ બનાવીને તેને બાળવામાં આવે છે. પરંતુ આજે તેની ધાર્મિક પરંપરા થોડીક બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. કેમકે આજે મોટા મોટા શહેરોમાં તો પુતળાની અંદર ઘણાં બધાં ફટાકડા ભરવામાં આવે છે અને તેને કોઇ નેતા કે પછી કોઇ આગેવાનના હાથે બાળવામાં આવે છે અને આ બધું જોવા માટે લોકોની ઘણી મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે. એવું લાગે છે કે જાણે બધા કોઇ મનોરંજન માટે ભેગા થયાં હોય. તેની જુની પરંપરા તો સાવ જ ભુલાઈ ગઈ છે.
ભારતમાં ભલે ગમે રીતે દશેરાની ઉજવણી કરતાં હોય પરંતુ ગુજરાતમાં તો લોકો ખુબ જ જલસાથી તેની ઉજવણી કરે છે. તે દિવસે આખા ગુજરાતમાં ગરીબ હોય કે તવંગર દરેકના ઘરે જલેબી અને ફાફડા ખવાય છે. અરે વેપારીઓ તો નવરાત્રીના નવમા દિવસે રાતથી જ જલેબી અને ફાફડા બનાવવાની શરૂઆત કરી દે છે. આ દિવસે ગુજરાતમાં ઠેર ઠેર મેળાઓ પણ ભરાય છે. વળી ક્ષત્રિયો આ દિવસે પોતાના શસ્ત્રોની પૂજા પણ કરે છે. વ્યાપારીઓ પણ પોતાના તોલ કાંટાની પૂજા કરે છે.
રાવણ દહનનો કાર્યક્ર્મ પુર્ણ થયાં બાદ લોકો ઘરે આવે છે અને ત્યાર બાદ ઘણી જગ્યાએ દશેરાના દિવસે પણ ગરબાં થાય છે તો તે દિવસે પણ લોકો ખુબ જ હર્ષોલ્લાસ સાથે માતાજીના ગરબાં ગાય છે અને ત્યાર બાદ આ નવરાત્રિ પર્વની વિદાય થાય છે અને દરેક લોકો ખુબ જ ભારે હ્રદયે માતાજીને " આવતાં વર્ષે જલ્દી પધારજો માં' કહીને વિદાય આપે છે.