શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Modified: બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (17:54 IST)

તમારી દરેક ઈચ્છા પુરી કરશે અમદાવાદનુ પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર

અમદાવાદથી ડાકોર જતા માર્ગ પર મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે દૂરથી ભગવાન ગણેશજીના સ્વરૂપમાં  ૭૩ ફૂટ ઊંચું પર્વત આકારનું શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન બન્યું છે, જેમાં મુંબઈમાં દાદરના સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન સિદ્ધિવિનાયકજીની મૂર્તિ છે એના જેવી જ મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.ગણેશજીની જે પ્રતિમાની સૂંઢ જમણી બાજુ વળેલી હોય તે સિદ્ધપીઠ સાથે જોડાયેલી હોય છે તેથી તે ગણેશ સિદ્ધિ વિનાયક કહેવાય છે.
આ વિશાળ બેજોડ અને કલાત્મક મંદિરમાં ભોંયતળિયે દસ હજાર સ્ક્વેર ફૂટનો સભા મંડપ અને પહેલાં માળે પણ વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે એટલો જ વિશાળ સભામંડપ પણ છે. મૂર્તિની સ્થાપના જમીનથી 65 ફૂટ ઊંચાઈ, એવાં મંદિરમાં જવા માટે લિફ્ટ અને રેમ્પની પણ સગવડ છે.
 
આજે મંદિરના સંકુલમાં રોપાયેલાં રુદ્રાક્ષ, બીલી, પલાશ, બોરસલી, અશોકવૃક્ષ, ખજૂરી-નારિયેળી, કદંબ, ચંદન, સેવન અને શીમળાનાં સેંકડો નવાં વૃક્ષો જોવા મળે છે. સિદ્ધિ વિનાયક મંદિરનાં આકર્ષક પ્રવેશ દ્વાર અને મંદિરની વચ્ચે વિશાળ બગીચો છે. બગીચાની વિશાળ લોનમાં ગણપતિ દાદાનાં પ્રતીકરૂપ ફૂલોનો વિશાળ સ્વસ્તિક બનાવવામાં આવ્યો છે. અહીં આકાર પામનારા અલગ અલગ પ્રકારનાં ફુવારાથી સમગ્ર સંકુલ અને બગીચાની શોભાને ચાર ચાંદ લાગી ગયેલ છે. મંદિર અહીં બનાવવા પાછળનું મહત્વનું કારણ એ છે કે શ્રી ગણેશની સ્થાપના માટે વિધિ વિધાન મુજબ નદી કિનારો જરૂરી છે. એ ઉપરાંત તે સ્થળે સફેદ આંકડો પણ હોવો જોઈએ અને તે સ્થળ જાહેર માર્ગ ઉપર હોવું જોઈએ. અમદાવાદથી ડાકોર જવાના પદ માર્ગ પર વેત્રવતી એટલે કે વાત્રક નદીના કિનારે આશરે 6 લાખ સ્ક્વેર ફૂટમાં આકાર પામેલ સિદ્ધિ વિનાયકનું આ મંદિર સ્થાપના થયેલ છે. સાધુ-સંતો અને સંખ્યાબંધ ભાવિકોની ઉપસ્થિતિમાં શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો.  ઉલ્લેખનીય બાબત એ છે કે આ દેવસ્થાનમાં મુંબઈના દાદરસ્થિત સિદ્ધિવિનાયક મંદિરેથી જ્યોત લાવવામાં આવી છે.