મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 6 ડિસેમ્બર 2022 (07:45 IST)

ગુજરાત ચૂંટણી પરિણામ - ઍક્ઝિટ પોલ મુજબ કોની સરકાર બની રહી છે? કયા વિસ્તારમાં કોણ મારશે બાજી ?

ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઍક્ઝિટ પોલના આંકડા જાહેર કરાઈ રહ્યા છે.
'ન્યૂઝ ઍક્સ'ના ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને 117થી 140 બેઠકો મળી શકે છે. જ્યારે કૉંગ્રેસ-એનસીપીને 34-51 બેઠકો મળી શકે છે. તો આપને આ ઍક્ઝિટ પોલમાં 6-13 બેઠકો અપાઈ છે.

 
'ટીવી 9 ગુજરાતી'ના ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને 125થી 130 બેઠકો મળી શકે એમ છે, જ્યારે આ ઍક્ઝિટ પોલમાં કૉંગ્રેસ-એનસીપીને 40-50 બેઠકો અપાઈ છે અને આપને 3-5 બેઠકો અપાઈ છે.
 
'રિપબ્લિક ટીવી' અને 'P-Marq'ના અનુમાન મુજબ, ભાજપને 128થી 148, કૉંગ્રેસને 30થી 42, આપને બેથી 10 તથા અન્યોને શૂન્યથી ત્રણ બેઠક મળી શકે છે. ભાજપને 48.2 ટકા, કૉંગ્રેસને 32.6 ટકા, આપને 15.4 ટકા, તથા અન્યોને 3.8 ટકા મત મળે તેવી શક્યતા છે.
 
મીડિયા હાઉસનું અનુમાન છેકે આપને 2.8 તથા અન્યોને 9.5 ટકા મત મળતા જણાય છે. આપને શૂન્યથી એક તથા અન્યોને એકથી ચાર બેઠક મળી શકે છે.
 
ઇન્ડિયા ન્યૂઝ - જન કી બાતના અનુમાન પ્રમાણે, ભાજપને 44થી 49 ટકા સાથે 117થી 140 બેઠક મળી શકે છે. 182 બેઠકવાળી વિધાનસભામાં બહુમત માટે 92 બેઠક જરૂરી છે.
 
જ્યારે કૉંગ્રેસને 28થી 32 ટકા સાથે 51થી 34, આપને 19થી 12 ટકા મત સાથે 13થી 6 તથા અન્યોને બે બેઠક મળી શકે છે.
 
ઇન્ડિયા ટુડે- ઍક્સિસ માય ઇન્ડિયાના આકલન પ્રમાણે, આપના આગમનને કારણે ભાજપને મહત્તમ 151 બેઠક મળી શકે છે, જે માધવસિંહ સોલંકીના 149 રેકર્ડ કરતાં વધુ હશે.
 
કૉંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હશે અને તેને 16થી 30 બેઠક મળી શકે છે, જ્યારે આપને 9થી 21 બેઠક મળી શકે છે.
 
જો ભાજપને 128 બેઠક મળશે, તો પણ તે પાર્ટીનું ગુજરાતમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે, કારણ કે વર્ષ 2002માં ભાજપને 127 બેઠક મળી હતી.
 
કયા વિસ્તારમાં કોણ મારશે બાજી ?
 
ઝી ન્યૂઝ- BARCના તારણ પ્રમાણે, ગુજરાતમાં ભાજપને 110થી 125, ભાજપને 45થી 60, આપને એકથી પાંચ, અન્યોને શૂન્યથી ચાર બેઠક મળી શકે છે.
 
સંસ્થાનું માનવું છે કે, મધ્ય ગુજરાતમાં ભાજપને ગત વખતની સરખામણીમાં છ બેઠક વધુ મળશે, જ્યારે આપ તથા અન્યને એક-એક બેઠક મળશે.
 
આ વિસ્તારમાં કૉંગ્રેસને આઠ બેઠકનું નુકસાન થશે. ભાજપને 43, કૉંગ્રેસને 14, આપને એક તથા અન્યોને ત્રણ બેઠક મળી શકે છે.
 
બીબીસી પોતાની નીતિ અંતર્ગત ચૂંટણી પહેલાં કે પછી સ્વતંત્ર રીતે પોતે અથવા તો કોઈ સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારના કોઈ સરવે નથી કરાવતું. ભૂતકાળમાં એક કરતાં વધુ વખત બીબીસીના નામે ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર બનાવટી સરવે ફરતા થયા છે.
 
ઝી ન્યૂઝ- BARCના અનુમાન પ્રમાણે, ભાજપને સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી 35 બેઠક મળી શકે છે, જ્યારે કૉંગ્રેસને 17 તથા આપને બે બેઠક મળી શકે છે.
 
ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસને આ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ખાસ્સો લાભ થયો હતો, અહીં કૉંગ્રેસને 14 બેઠકનું નુકસાન થતું દર્શાવવામાં આવ્યું છે.
 
ઇન્ડિયા ટીવી – Materizeના અનુમાન પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી ભાજપને 33-37, કૉંગ્રેસને 15-19, આપને એકથી ત્રણ તથા અન્યોને શૂન્ય બેઠક મળશે.
 
ઉત્તર ગુજરાતની 32માંથી ભાજપને 16થી 20, કૉંગ્રેસને 12થી 16 મળશે, જ્યારે આપ કે અન્યોને કશું નહીં મળે.
 
દક્ષિણ ગુજરાત માટે સંસ્થાનું આકલન છે કે, 35માંથી ભાજપને 22થી 26, કૉંગ્રેસને ચારથી આઠ, આપને ત્રણથી પાંચ તથા અન્યોને શૂન્યથી એક બેઠક મળી શકે છે.
 
સોમવારે બીજા તબક્કાના મતદાનની પૂર્ણાહુતિ સાથે ગુજરાત સહિત દેશના મીડિયાહાઉસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા સરવેના તારણો થયાં છે.
 
આ પ્રકારના સરવે સાચા જ હોય તેવું નથી હોતું, અગાઉ અનેક વખત તેની આગાહીઓ ખોટી ઠરી છે.
 
ગુજરાતમાં પરંપરાગત હરીફ ભાજપ અને કૉંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી તથા એઆઈએમઆઈએમે પણ આ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે. નવાં રાજકીય સમીકરણો ઉમેદવારોના રાજકીય ભાવિને અસર કરી શકે છે.
 
ભાજપને માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્ર સરકારમાં 'નંબર-ટુ' મનાતા અમિત શાહના ગૃહરાજ્યમાં યોજાઈ રહેલી ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય છે.
 
અહીંનાં પરિણામોનો પડઘો રાષ્ટ્રીય રાજકારણમાં પણ ઝીલાશે.  
 
ગત ગુરુવારે ગુજરાતમાં 89 બેઠક ઉપર પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું, જેમાં 63.31 ટકા મતદાન થયું હતું, જે ગત વખતની રાજ્યની સરેરાશ કરતાં ઘણું જ ઓછું હતું, જેણે રાજકીય પક્ષોની ચિંતા વધારી છે.
 
ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, 71 રાજકીય પક્ષ અને અપક્ષ સહિત કુલ એક હજાર 621 ઉમેદવાર તેમના નસીબ અજમાવી રહ્યાં છે. જેમના રાજકીય ભાવિનો ફેંસલો ગુરુવારે સવારે આઠ વાગ્યાથી થશે.
 
કેવી રીતે થાય છે ઍક્ઝિટ પોલ?
 
આપણાં દેશના મીડિયા હાઉસ દ્વારા ચૂંટણી પહેલાં અને પછી પણ સરવે કરાવે છે.
 
રાજકીય પક્ષો પોતાની આંતરિક વ્યવસ્થા ઉપરાંત બહારના વ્યાવસાયિક નિષ્ણાતો દ્વારા પણ સરવે કરાવતા હોય છે.
 
જે તે રાજ્યમાં વ્યાવસાયિક હિતો ધરાવતાં મોટાં ઉદ્યોગગૃહો પણ પોતાની ભાવિ યોજનાઓ માટે રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવતા હોય છે.
 
અગાઉ સેફૉલૉજિસ્ટ અને હવે રાજનેતા ડૉ. યોગેન્દ્ર યાદવના કહેવા પ્રમાણે, "ઑપિનિયન પોલ અને ઍક્ઝિટ પોલ એક પ્રકારના માપદંડ હોય છે. એટલે જ તે સમયાંતરે બદલાઈ શકે છે. કયા વિસ્તારમાં, કયા સમયે અને કયા પ્રકારના મતદાતાઓના અભિપ્રાયો સર્વેક્ષણોમાં સામેલ કરવામાં આવ્યા છે તેના પર ઍક્ઝિટ પોલનો મદાર હોય છે."
 
દેશની ટોચની સરવે સંસ્થા સીએસડીએસના નિદેશક સંજયકુમારે અગાઉ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઍક્ઝિટ પોલમાં વૉટર મત આપીને મતદાનમથક બહાર નીકળે ત્યારે તેમને સવાલ પૂછવામાં આવે છે.
 
સર્વેમાં મતદારોને ઘણા સવાલો પૂછવામાં આવે છે. તેના દ્વારા અપ્રત્યક્ષ રીતે એ વાતનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો હશે.
 
હજારો મતદારોનાં ઇન્ટરવ્યૂ કરીને આ આંકડા એકઠા કરવામાં આવે છે. આંકડાનું વિશ્લેષણ કરીને અંદાજ કાઢવામાં આવે છે, એટલે કે એ શોધવામાં આવે છે કે કયા પક્ષને કેટલા ટકા મત મળ્યા હશે.
 
ઍક્ઝિટ પોલ કરવા, આંકડા ભેગા કરવા અને તે આંકડાને લોકો સમક્ષ લાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે અને આ લાંબી પ્રક્રિયા હોય છે.
 
ઍક્ઝિટ પોલ સાચા જ હોય?
 
ઍક્ઝિટ પોલના તારણમાં સૅમ્પલસાઇઝ, અમીર-ગરીબનું પ્રતિનિધિત્વ, શહેરી કે ગ્રામીણ વિસ્તારનું પ્રતિનિધિત્વ વગેરે જેવી બાબતો અસર કરે છે.
 
ઍક્ઝિટ પોલ મોટા પાયે ખોટા કેવી રીતે પડે છે? આ સવાલના જવાબમાં સંજયે કહ્યું હતું, "ઍક્ઝિટ પોલ ફેલ જવાનું સૌથી મોટું ઉદાહરણ 2004ની લોકસભાની ચૂંટણીઓ છે, જેમાં લગભગ બધી એજન્સીઓના આકલન ખોટા પડ્યા હતા."
 
"સરવે કરનારાઓએ એ વાતનો ખ્યાલ રાખે એ જરૂરી છે કે તેઓ સમાજના દરેક વર્ગ અને તબક્કાના મતદારો સુધી પહોંચે. આપણે ત્યાં ગુપ્ત મતદાન પ્રણાલીથી વોટિંગ થાય છે, ત્યારે મતદારોએ કોને મત આપ્યો છે તે જાણવું પડકારરૂપ બની રહે છે. કેટલીક વખત તેઓ સાચું બોલે છે કે નહીં તેના પર પણ શંકા હોય છે."
 
જોકે, સંજયકુમારને તેનાથી આશ્ચર્ય થતું નથી.
 
તેઓ કહે છે કે મોટા ભાગના મતદારો સાચું બોલે છે. એવું બની શકે કે કોઈ મતદાર ખોટું બોલી જાય. મતદારો સાચું બોલ્યા કે ખોટું તેનો નિર્ણય ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ થઈ જાય છે.
 
2017 અને ઍક્ઝિટ પોલ
 
ગત વખતે પણ ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે મીડિયાગૃહોએ સરવે કરાવ્યા હતા. તેનાં તારણોમાં ભાજપને 99થી 135 બેઠક મળશે એવું અનુમાન કરવામાં આવ્યું હતું.
 
જ્યારે કૉંગ્રેસને 47થી 74 બેઠક મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અને સંભવિત ઉત્તમ પ્રદર્શનના સંજોગોમાં આ આંકડો 82નો મૂકવામાં આવ્યો હતો. જ્યારે અન્યોને શૂન્યથી ચાર બેઠકની વચ્ચે મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
 
ઇન્ડિયા ન્યૂઝ-સીએનએક્સના ઍક્ઝિટ પોલ પ્રમાણે, ભાજપને 100-120 તથા કૉંગ્રેસને 65-75 બેઠકો તથા અન્યોને 02-04 બેઠક મળવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો
ટાઇમ્સ નાઉ- વીએમઆરના ઍક્ઝિટ પોલ પ્રમાણે, ભાજપને 108, કૉંગ્રેસને 74 બેઠક મળશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી
ન્યૂઝ 18-સીવોટરના ઍક્ઝિટ પોલે ભાજપને 108 તથા કૉંગ્રેસને 74 બેઠક મળશે તેવો દાવો કર્યો હતો
ઇન્ડિયા ટુડે-માય ઍક્સિસમાં ભાજપને 99થી 113, તથા કૉંગ્રેસને 68થી 82 બેઠક, જ્યારે અન્યોને એકથી ચાર બેઠક મળશે તેવું અનુમાન મૂકવામાં આવ્યું હતું
ટુડેઝ ચાણક્ય તથા ન્યૂઝ-24ના ઍક્ઝિટ પોલ પ્રમાણે, ભાજપને 135 બેઠકો મળી શકે છે, જેમાં 11 બેઠકોની વધઘટની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી
ગુજરાતમાં ભાજપની સરકાર તો બની પરંતુ તેનું પ્રદર્શન અગાઉની ચૂંટણી કરતાં ખરાબ રહ્યું હતું અને તે માત્ર 99 બેઠક મેળવી શક્યો હતો.
 
જ્યારે કૉંગ્રેસે તાજેતરના ઇતિહાસનું સૌથી સારું પ્રદર્શન કરતા 77 બેઠક મેળવી હતી. પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીનો પણ વિજય થયો હતો.
 
આ સિવાય અન્ય બે અપક્ષ તથા કાંધલ જાડેજા સ્વરૂપે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના એક ઉમેદવારનો વિજય થયો હતો.
 
એટલે કે કોઈ પણ એજન્સીના અનુમાન વાસ્તવિક પરિણામની 'એકદમ નજીક' ન હતા.