ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (12:34 IST)

બેંકોમાં 10ના સિક્કા ઘરજમાઈ જેવા, 50 અને 200 રૂપિયાની નોટના કાળાબજાર થતાં હોવાની ચર્ચાઓ

તાજેતરમાં રૂ.પ૦ અને ર૦૦ની નવી નોટ રિઝર્વ બેંકે જંગી જથ્થામાં છાપી છે પણ આ નોટ હજુ સુધી લોકો સુધી પહોંચી નથી અને આ નોટના ધુમ કાળાબજાર થતા હોવાનુ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. એટલુ જ નહી દિવાળીના દિવસો આવ્યા છતાં પણ બેંકોમાં નવી નોટો હજુ સુધી નહી આવતા લોકોને નવી નોટો મળશે કે નહી ? એ બાબતે પ્રશ્નાર્થ ઉભો થયો છે. બેંકોનું કહેવુ છે કે, અમારી પાસે પ૦૦ અને ૧૦૦૦ની જુની નોટ તથા ૧૦ના સિક્કાનો ખડકલો છે. પ૦૦ની અને ૧૦૦૦ની નોટ રિઝર્વ બેંક લેતી નથી તેથી બેંકોમાં આનો ભરાવો થયો છે એટલુ જ નહી ૧૦ના સિક્કા લેતા લોકો ડરતા હોવાથી તે કરન્સી ચેસ્ટમાં ઘરજમાઇ થઇને પડયા છે.

૧૦ના સિક્કાને કારણે રિઝર્વ બેંક ૧૦ની નવી નોટો મોકલવાની નથી. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક દ્વારા થોડા સમય પહેલા પ૦ અને ર૦૦ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. તેની ડિમાન્ડ જબરી છે પરંતુ એકાદ-બે બેંકોને બાદ કરતા આ નોટો રાજકોટની એકપણ બેંકમાં હજુ સુધી આવી નથી. આ નોટના પ્રેમીઓ વધુ નાણા ખર્ચીને પણ આ બંને નોટો મેળવી રહ્યા છે. કાળાબજાર થતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. ર૦૦ના બંડલના રપ૦૦ રૂ. વધારે એટલે કે ર૦૦૦૦ની સામે રૂ.રર,પ૦૦ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પ૦ની નવી નોટના બંડલ પર ૭૦૦ થી ૧૦૦૦નું ઓન લેવામાં આવી રહ્યુ છે. જેને કારણે લોકોમાં કચવાટ છે.  સહકારી બેંકોને અમદાવાદ ખાતેથી નોટના બંડલ ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર ૧૦ બંડલ લેવા અમદાવાદ જવુ પડી રહ્યુ છે. અનેક બેંકોને કાલે અમદાવાદ બોલાવવામાં આવી છે. નોટબંધી બાદ પ૦૦ અને ર૦૦૦ની નવી નોટનો પુરતો જથ્થો સપ્લાય થયા બાદ રોકડની ખેંચ સમાપ્ત થઇ ગઇ હતી પરંતુ તે વખતે ઠલવાયેલી પ૦૦ અને ૧૦૦૦ની નોટો તથા ૧૦ના સિક્કાનો વિવિધ કરન્સી ચેસ્ટમાં ખડકલો જોવા મળી રહ્યો છે. દરેક બેંકોમાં ૧૦ની જુની નોટના મોટા પ્રમાણમાં બંડલ પડયા હોવાનુ કહેવાય છે. રિઝર્વ બેંક પ૦૦ અને ૧૦૦૦ની નોટ ધીમે-ધીમે લેતી હોવાથી કરન્સી ચેસ્ટમાં અન્ય મુલ્યની ચલણી નોટના બંડલ મુકવાની જગ્યા દેખાતી નથી. દેના બેંકમાં જ ૯૦,૦૦૦ લાખના ૧૦ના સિક્કા પડયા હોવાનુ કહેવાય છે.